સગીર વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્તિનો નિર્દેશ; શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી પર રોક, હિંસામાં સંડોવાયેલા સામે કાયદેસરની કાર્યવાહી થશે
નવી દિલ્હી: નીટ પેપર લીક મુદ્દે દેશભરમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. સર્વોચ્ચ અદાલતે આંદોલન સંબંધિત CCTV ફૂટેજ, બોડી કેમેરા વીડિયો, ડ્રોન રેકોર્ડિંગ, પોલીસ વાયરલેસ સંદેશા અને અન્ય તમામ ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવાનો આદેશ આપતાં કહ્યું કે જવાબદારી નક્કી થવી જ જોઈએ.
સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન લોકશાહીનો બંધારણીય અધિકાર છે અને આવા પ્રદર્શન દરમિયાન અતિશય બળપ્રયોગ સ્વીકાર્ય નથી. સાથે જ કોર્ટે કહ્યું કે પોલીસ પર હુમલો કરનાર અથવા કાયદો હાથમાં લેનાર કોઈપણ વ્યક્તિને કાયદાકીય રાહત મળી શકે નહીં.
સુપ્રીમ કોર્ટે સગીર વિદ્યાર્થીઓ તેમજ જેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી એવા પ્રદર્શનકારીઓને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત આગામી સુનાવણી સુધી આવા વિદ્યાર્થીઓ સામે કોઈ દંડાત્મક કાર્યવાહી નહીં કરવાની પણ સૂચના આપવામાં આવી છે. જોકે, ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા આરોપીઓ સામે કાર્યવાહી યથાવત રહેશે.
કોર્ટે દિલ્હી, બિહાર, કેરળ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવોને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. સાથે જ તમામ સંબંધિત પોલીસ તંત્રને આંદોલન સાથે જોડાયેલા તમામ ડિજિટલ પુરાવા કોઈપણ સંજોગોમાં સુરક્ષિત રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે સંકેત આપ્યો કે સમગ્ર ઘટનાક્રમની નિષ્પક્ષ તપાસ માટે સ્વતંત્ર હાઈ પાવર કમિટીની રચના અંગે પણ વિચારણા થઈ શકે છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે લોકશાહીમાં વિરોધ પ્રદર્શન સ્વાભાવિક છે, પરંતુ શાંતિ અને કાયદો જળવાઈ રહે તે દરેક પક્ષની સંયુક્ત જવાબદારી છે.










