બ્રેસ્ટ કેન્સરની સર્જરી કરાવીને ઇતરાઈ અભિનેત્રી, ફ્લોન્ટ કર્યા જખમ, સંભળાવી સર્વાઇવલની દાસ્તાન

ચકાચૌંધ અને પરફેક્શનની માંગ કરતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અવારનવાર ખામીઓને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.. પરંતુ અભિનેત્રી રાજશ્રી દેશપાંડેએ એક અલગ જ રાહ પસંદ કરી છે. બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમ્યા અને તેને મ્હાત આપ્યા બાદ રાજશ્રીએ પોતાની સર્જરીના નિશાન છુપાવવાને બદલે તેને ગર્વથી દુનિયા સામે રજૂ કર્યા છે. તેમની આ સાહસિક પહેલ માત્ર તેમના ચાહકોને જ પ્રેરિત નથી કરી રહી, પરંતુ કેન્સર સામે લડી રહેલી લાખો મહિલાઓ માટે આશાનું એક નવું કિરણ બનીને ઉભરી છે.

બીમારીનો ખુલાસો અને સર્જરીની સફર

આ વર્ષે માર્ચમાં રાજશ્રીએ સોશિયલ મીડિયા દ્વારા પોતાની બીમારીનો ખુલાસો કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, એક રૂટિન ચેકઅપ દરમિયાન તેમને ગ્રેડ 1 બ્રેસ્ટ કેન્સર ઇનફિલ્ટ્રેટિંગ ડક્ટલ કાર્સિનોમા હોવાનું જાણવા મળ્યું હતું…કોઈપણ વ્યક્તિ માટે ‘કેન્સર’ શબ્દ સાંભળવો જ ડરામણો હોય છે અને રાજશ્રી માટે પણ આ સફર આસાન ન હતી. તેમણે સ્વીકાર્યું હતું કે, બીમારીની ખબર પડ્યા બાદ તેઓ એકાંતમાં ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હતા અને માનસિક રીતે તૂટી ગયા હતા.

હોસ્પિટલના બિસ્તર પરથી પોતાની તસવીર શેર કરતા તેમણે લખ્યું હતું કે, જ્યારે તેમના માતા-પિતાને આ વિશે જાણ થઈ.. ત્યારે જઈને તેમણે જાહેરમાં આ વાત શેર કરવાની હિંમત એકઠી કરી. સમયસર બીમારીની ઓળખ થવાને કારણે તેમની સર્જરી સફળ રહી..પરંતુ તે દરમિયાન થયેલા અસંખ્ય ટેસ્ટ અને હોસ્પિટલના ચક્કરોએ તેમને ભાવનાત્મક રીતે ખૂબ જ સંઘર્ષ કરાવ્યો.

નિશાનને બનાવી પોતાની તાકાત

તાજેતરમાં રાજશ્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક અત્યંત સુંદર અને ભાવુક તસવીરો શેર કરી છે.સાડીમાં સજ્જ રાજશ્રી આ તસવીરોમાં ખિલખિલાટ હસતી જોવા મળી રહી છે.. પરંતુ એક તસવીરે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ તસવીરમાં તેઓ પોતાની સર્જરીના નિશાન કોઈપણ સંકોચ વગર બતાવી રહ્યા છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું:

“મારા આ નિશાન મારા જીવિત બચવા (સર્વાઇવલ)ની વાર્તા કહે છે. દરેક નિશાન એ વાતની યાદ અપાવે છે કે મેં લડાઈ લડી, હું બચી અને મેં જીત મેળવી.”

લોકો કરી રહ્યા છે પ્રશંસા

રાજશ્રીએ તે તમામ મહિલાઓને સંદેશ આપ્યો જેઓ પોતાની બીમારી કે શરીરના નિશાનને કારણે પોતાને નબળી અનુભવે છે. તેમણે કહ્યું કે,, આ નિશાન કોઈ ડાઘ કે ખામી નથી..પરંતુ સાહસનો તાજ છે. તેમણે મહિલાઓને અપીલ કરી કે તેઓ પોતાની ચમક ઓછી ન થવા દે અને પોતાની જાત પર ગર્વ કરે. તેમની આ પોસ્ટ પર સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેમના ચાહકોએ પ્રેમ વરસાવ્યો છે.અભિનેત્રી શુભાંગી લાટકર સહિત અનેક સિતારાઓએ તેમને સાચા યોદ્ધા અને ‘પ્રેરણાસ્ત્રોત’ ગણાવ્યા છે.

કામ પ્રત્યે સમર્પણ

કેન્સર જેવી બીમારી અને સર્જરીના દુખાવામાંથી બહાર આવ્યા બાદ તરત જ રાજશ્રી પોતાના કામ પર પરત ફર્યા છે. તેઓ અત્યારે પોતાની આગામી મરાઠી ફિલ્મ બાપ્યા’ (Bapya) ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પોતાની ફિલ્મ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, તેઓ આજે પોતાના હૃદયમાં પ્રેમ અને આત્મામાં સાહસ લઈને ઉભા છે. સમીર તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તેમની સાથે ગિરીશ કુલકર્ણી, શ્રીકાંત મોહન યાદવ અને દેવિકા દફ્તરદાર જેવા દિગ્ગજ કલાકારો જોવા મળશે. આ ફિલ્મ 15 મે 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

રાજશ્રી દેશપાંડેની આ વાર્તા માત્ર એક બીમારી સામે જીતવાની નથી..પરંતુ આ વાર્તા છે પોતાની જાતને સ્વીકારવાની અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ સ્મિત જાળવી રાખવાની. તેમની સાદગી અને નિડરતાએ સાબિત કરી દીધું છે કે, અસલી સુંદરતા ચહેરાની ચમકમાં નહીં, પણ મનની શક્તિ અને સંઘર્ષના નિશાનમાં છુપાયેલી હોય છે.

Leave a Comment

READ MORE

READ MORE