ઉત્તરપ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, મિર્ઝાપુરની ડ્રમંડગંજ ઘાટી ઉતરી રહેલી એક ટ્રકની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. જેના કારણે ટ્રકે આગળ જઈ રહેલા અનેક વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ દરમિયાન એક સ્વિફ્ટ ડિઝાયર કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જેમાં સવાર અનેક લોકો જીવતા ભુંજાઈ ગયા હોવાના અહેવાલ છે. મિર્ઝાપુરના પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 11 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો :
મૃતકોના પરિવારજનોને 2 લાખનું વળતર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PMNRF (પ્રાઈમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ) માંથી આ અકસ્માતમાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઈજાગ્રસ્તોને વ્યક્તિદીઠ 50,000 રૂપિયા આપવામાં આવશે.
કેવી રીતે થયો અકસ્માત?
ડ્રમંડગંજ ઘાટી પરથી નીચે ઉતરી રહેલી એક ટ્રકની બ્રેક અચાનક ફેઈલ થઈ ગઈ.ત્યારબાદ ટ્રક અનિયંત્રિત થઈ ગઈ અને તેણે આગળ ચાલી રહેલી બોલેરો અને કાર સહિત અનેક વાહનોને ટક્કર મારી દીધી. આ અકસ્માત દરમિયાન એક સ્વિફ્ટ ડિઝાયર કાર આગળ ચાલી રહેલા ટ્રકની પાછળના ભાગે અંદર ઘૂસી ગઈ હતી.જેના કારણે કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર લગભગ અડધો ડઝન લોકો જીવતા સળગી ગયા હતા.
મધ્યપ્રદેશ તરફથી આવી રહ્યો હતો ટ્રક
આ કરુણ અકસ્માત ડ્રમંડગંજ ઘાટીના ‘બડકા મુડાન’ પાસે સર્જાયો હતો. ચણા ભરેલી ટ્રક મધ્યપ્રદેશ તરફથી મિર્ઝાપુર આવી રહી હતી. ઘાટી ઉતરતી વખતે વળાંક પર ટ્રકની બ્રેક ફેઈલ થતા તેણે પહેલા બોલેરોને ટક્કર મારી અને પછી સ્વિફ્ટ ડિઝાયરને. ટક્કર એટલી જોરદાર હતી કે, કાર આગળ ચાલી રહેલા કપચી ભરેલા ટ્રેલરમાં ઘૂસી ગઈ અને આગ ફાટી નીકળી.કારમાં સવાર લોકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી.
પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે
કારમાં લાગેલી ભીષણ આગને જોઈને ચારેબાજુ ચીસાચીસ મચી ગઈ હતી. ટક્કર બાદ તરત જ આગ લાગવાને કારણે અંદર ફસાયેલા લોકો બહાર નીકળી શક્યા નહોતા. બોલેરોમાં સવાર કેટલાક લોકો પણ આગની લપેટમાં આવ્યા હોવાની આશંકા છે.કુલ 11 લોકોના મોતની પુષ્ટિ થઈ.પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
Post Views: 80










