વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા તેમજ વિદેશ યાત્રાઓ હાલ પૂરતી મુલતવી રાખવા ખાસ આગ્રહ કર્યો છે. પીએમ મોદીની આ અપીલ પાછળનું મુખ્ય કારણ દેશના વિદેશી હૂંડિયામણ (Foreign Exchange) ની બચત કરવાનું માનવામાં આવે છે.
યુદ્ધ અને સપ્લાય ચેન પર અસર ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં અજંપાભરી સ્થિતિ છે. કાચા તેલના ભાવ આસમાને પહોંચ્યા છે અને ગ્લોબલ સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે. ભારત જેવા આયાત પર નિર્ભર દેશો માટે આ સ્થિતિ પડકારજનક છે, તેથી વડાપ્રધાન ઈચ્છે છે કે દેશમાંથી ફોરેન એક્સચેન્જનું આઉટફ્લો (બહાર જતું નાણું) ઘટે.
દેશભક્તિ સાથે જોડાવા આહવાન પીએમ મોદીએ પોતાની આ અપીલને દેશભક્તિ સાથે જોડી છે. સોના અને વિદેશ પ્રવાસ ઉપરાંત તેમણે તેલની બચત કરવા પર પણ ભાર મૂક્યો છે. તેમણે નાગરિકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ, વર્ક ફ્રોમ હોમ સિસ્ટમ, પ્રાકૃતિક ખેતી અને સ્વદેશી ઉત્પાદનોનો વધુમાં વધુ ઉપયોગ કરવાની સલાહ આપી છે.
સોનાની આયાત કેમ ચિંતાનો વિષય છે? ભારત વિશ્વમાં સોનાના સૌથી મોટા આયાતકારોમાંનો એક છે. સોનાની સ્થાનિક માંગ પૂરી કરવા માટે વિદેશથી આયાત કરવી પડે છે. જેનું ચૂકવણું ડોલરમાં થાય છે. આનાથી દેશના ઇમ્પોર્ટ બિલમાં વધારો થાય છે અને ફોરેન એક્સચેન્જ રિઝર્વ પર દબાણ આવે છે. ભારત પોતાની જરૂરિયાતનું 85% તેલ પણ આયાત કરે છે. ત્યારે સોનાની ખરીદીમાં ઘટાડો કરવાથી રૂપિયાની સ્થિતિ મજબૂત થશે અને ટ્રેડ બેલેન્સ જળવાઈ રહેશે.
ભારતનું ફોરેક્સ રિઝર્વ મજબૂત જોકે, વિદેશી હૂંડિયામણના મોરચે હાલ ગભરાવાની જરૂર નથી. માર્ચ 2026ના આંકડા મુજબ ભારત પાસે 691.11 અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ છે. જે 11 મહિનાની આયાત માટે પૂરતું છે. નોંધનીય છે કે ભારતના કુલ ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો માર્ચ 2026 સુધીમાં વધીને 16.70% થયો છે. જે સપ્ટેમ્બર 2025માં 13.92% હતો.
Post Views: 52











