વર્ષ 2025ની નવરાત્રીના આયોજન સાથે જોડાયેલા કથિત ઠગાઈ કેસમાં વધુ એક ફરિયાદ નોંધાતા મામલો ગરમાયો છે. અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં કોમ્પ્લિમેન્ટરી ટિકિટની નકલી પ્રિન્ટ તૈયાર કરી તેનું વેચાણ કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ચાર શખ્સો સામે ફરિયાદ
ફરિયાદમાં પાર્શ્વ જ્વેલર્સના માલિક દર્શન શાહ ઉપરાંત જયેશ પરમાર, રવિ શાહ અને સંજય દેસાઈના નામનો ઉલ્લેખ છે. ફરિયાદ મુજબ નવરાત્રીના કાર્યક્રમ માટેની કોમ્પ્લિમેન્ટરી ટિકિટોની નકલી ટિકિટો તૈયાર કરી લોકો પાસેથી નાણાં મેળવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.
8થી 10 કરોડની ઠગાઈનો દાવો
ફરિયાદમાં અંદાજે ₹8થી ₹10 કરોડની નાણાકીય ગેરરીતિ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ રકમ અને અન્ય આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ પોલીસ તપાસ બાદ જ થઈ શકશે.
ટિકિટ વેચાણ અને નાણાકીય વ્યવહારોની તપાસ
સરખેજ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. નકલી ટિકિટો કેવી રીતે તૈયાર થઈ, તેનું કેટલું વેચાણ થયું અને તેમાંથી મળેલી રકમ ક્યાં ગઈ સહિતના મુદ્દે તપાસ ચાલી રહી છે. સમગ્ર મામલે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
Post Views: 8










