દેશભરમાં આજથી સોના, ચાંદી અને પ્લેટિનમની કિંમતોમાં મોટો વધારો જોવા મળશે. સરકારે બુધવારે સોના અને ચાંદીની આયાત પર કસ્ટમ ડ્યુટી વધારી દીધી છે. સરકારના આ નિર્ણયથી સોનું, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓની આયાત મોંઘી થશે..જેની સીધી અસર સોના-ચાંદીના છૂટક ભાવ પર જોવા મળશે.સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે, આયાત ડ્યુટીના નવા દરો 13 મે, 2026 થી લાગુ કરી દેવામાં આવ્યા છે. જેમાં સોનું, ચાંદી, પ્લેટિનમ, જ્વેલરીના પાર્ટ્સ (Findings) અને કિંમતી ધાતુઓ સાથે જોડાયેલ ઔદ્યોગિક આયાત પર વધુ ટેક્સ લાગશે.
આ પણ વાંચો…
સોના અને ચાંદીની આયાત પર 10% બેઝિક કસ્ટમ ડ્યુટી લાગશે
મનીકંટ્રોલના અહેવાલ મુજબ, સરકારે સોના અને ચાંદીની આયાત પર 10% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) લાદ્યો છે. આ તાજેતરના વધારા પછી,સોના અને ચાંદી પર વસૂલવામાં આવતી ઈમ્પોર્ટ ડ્યુટી 6% થી વધીને 15% થઈ ગઈ છે.
સરકારના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય સોના-ચાંદીની ખરીદી પર અંકુશ લગાવવાનો છે. જેથી ભારતના વિદેશી હૂંડિયામણ ભંડાર (Foreign Exchange Reserves) પર વધી રહેલા દબાણને ઘટાડી શકાય. સરકારે પોતાના તાજેતરના નિર્ણયમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) થી નક્કી કરેલા ક્વોટા હેઠળ આયાત કરવામાં આવતા સોના પર પણ ઈમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી છે. જેના પર અગાઉ રાહત દરે ડ્યુટી વસૂલવામાં આવતી હતી.
જ્વેલરીના પાર્ટ્સ પર પણ ડ્યુટી વસૂલવામાં આવશે
કસ્ટમ એક્ટ હેઠળ મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ આ નોટિફિકેશન, 2018 અને 2021 માં બહાર પાડવામાં આવેલા અગાઉના કસ્ટમ નોટિફિકેશનમાં સુધારો કરે છે. આ નોટિફિકેશન જ્વેલરીના “પાર્ટ્સ” (Findings) જેવા કે – હૂક, ક્લેસ્પ, ક્લેમ્પ, પિન અને સ્ક્રૂ બેક પર પણ ડ્યુટીના દરોમાં ફેરફાર કરે છે. જેનો ઉપયોગ જ્વેલરી બનાવવામાં થાય છે.
-
સોના અને ચાંદીના પાર્ટ્સ પર: હવે 5% કસ્ટમ ડ્યુટી લાગશે.
-
પ્લેટિનમના પાર્ટ્સ પર:4% ડ્યુટી લાગશે.
સાથે જ, સરકારે વપરાયેલા કેટેલિસ્ટ (Catalyst) અથવા રાખની આયાત માટે પણ રાહત ડ્યુટીની જોગવાઈઓમાં ફેરફાર કર્યો છે.જેમાં કિંમતી ધાતુઓ હોય છે અને જેનો ઉપયોગ રિકવરી અને રિસાયક્લિંગ માટે થાય છે. આવી આયાત પર 4.35% ની રાહત દરે કસ્ટમ ડ્યુટી લાગશે.જો નક્કી કરેલી શરતોનું પાલન કરવામાં આવે તો.
Post Views: 71










