કરોડો રૂપિયાના લોન કૌભાંડોના પુરાવાઓ જાહેર થયા બાદ રાજકોટ નાગરિક બેંકના સત્તાધિશોનું ભેદી મૌન

દસ હજાર કરોડના એમ્પાયરના સીઓ એ મંજુર કરેલ ફોડ લોનની ચોંકાવનારી વિગતો જાહેર

નાગરિક બેંક બચાવો સંઘ ‘સત્યના સંઘર્ષ’ માટે વધુ આક્રમક બન્યો

એક સપ્તાહ પુર્વે ૬૦ જેટલા લોન કેમ્પના પુરાવાઓ જાહેર થયા બાદ રાજકોટ નાગરિક સહકારી બેંકના સુપર સત્તાધિશોની ત્રિપુટીના જયોતિન્દ્રભાઈ મહેતા (મામા), નલીનભાઈ વસા અને જીમીભાઈ દક્ષિણીએ અગમ્ય કારણોસર ભેદી મૌન સેવી લીધુ છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ આ લોન ખાતાઓ અંગે કલીન ચીટ આપ્યાનો ભુતકાળમાં ગોબેલ્સ પ્રચાર કરનારાઓ જાહેર જનતા સમક્ષ કોઈ સીંગલ કાગળ પણ પ્રસારીત નથી કરી શક્યા.

દરમ્યાન પુરતા દસ્તાવેજી પુરાવાઓ આધાર ધરાવનાર ”નાગરિક બેંક બચાવો સંઘ’ મારફત ૧૦,૦૦૦ કરોડના એમ્પાયરના સીઈઓ વિનોદકુમાર શર્માજીએ પોતે જે ફોડ લોન મંજુર કરી છે તેની વિગતવાર હકીકતો જાહેર કરીને અને સીલસીલાબંધ વાસ્તવિકતાઓ વર્ણવીને આજે સંઘે જાહેર કરીને ખડભળાટ મચાવી દીધો છે. સંઘના અગ્રણીઓ ચંદુભા પરમાર, ખેંગાર યોગી, બાલુભાઈ શેઠ, વિબોધ દોશી અને શરદ વોરાએ સંયુક્ત રીતે જણાવ્યુ છે કે, અમારા સહીત સંઘના હોદેદારોને બેંક ધ્વારા ગત તા.૩૧ મે એ બદનક્ષીની ફરીયાદ કરવા માટે લીગલ નોટીસ આપવામાં આવેલ જેનો અમોએ સડસડતો જવાબ આપી દીધેલ.

બાદમાં ત્રણ સપ્તાહ વિત્યા છતાં બેંકે અમારી વિરૂધ્ધ કોર્ટમાં કોઈ ફરીયાદ કરવાની હિંમત એટલા માટે નથી કરી કે, બેંકના મોટા માથાઓ આ ૬૦ લોન સ્કેમમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલા છે. કાનુની જંગમાં કોર્ટમાં સ્કેમ સ્વયં સાબિત થાય જ અને બેંકના કેટલાક મોટા માથાઓને જેલમાં જવાનો પણ વારો આવી શકે. તદુપરાંત સંઘે જાહેર જનતા તેમજ વિશેષ કરીને બેંકના ફીકસ ડીપોઝીટરોને એવો વિશ્વાસ આપ્યો છે કે કોઈએ બેંકમાં રહેલા નાણાની સલામતી તે બેંક પ્રત્યેની વિશ્વસનીયતા અંગે સહેજ પણ ચિંતા કરવાની જરૂરત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE