‘નો-નીટ’ના નારા લગાવ્યા : પેપર લીકના દોષિતોને સજા કરો – નિર્દોષોને શા માટે સજા?
સમગ્ર દેશમાં છેલ્લા ઘણા દિવસોથી નેટની પરીક્ષાને લઈને ઘણા સવાલો સામે આવી રહ્યા છે. હવે સીબીઆઈને તપાસ સોંપવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ અને પેપરલીકના આરોપો વચ્ચે દેશભરમાં હોબાળો મચ્યો છે. આ દરમિયાન ગુજરાત સરકારે એક નોટીફીકેશન બહાર પાડીને સીબીઆઈને તપાસ સોંપી છે ત્યારે ગુજરાતના હજારો ઉમેદવારોએ ભાગ લીધો હતો. ગુજરાત સહિત દેશ કક્ષાએ પણ હવે ઉચ્ચ કક્ષાએ લેવાતી પરીક્ષાઓના પેપર લીક થવાથી લઈ અન્ય સંખ્યાબંધ ગેરરીતિઓ ફરિયાદોને કારણે સરકાર વિદ્યાર્થીઓ અને વાલીઓના ઉગ્ર રોષ અને સામાન્ય જનની પણ ભારે ટીકાના ભોગ બની રહી છે. દરમ્યાનમાં ગુજરાતમાં પણ આ પ્રશ્ર્ન અત્યંત સંવેદનશીલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં નિર્દોષ વિદ્યાર્થીઓ શા માટે રીનીટ આપે તેવો વાલીઓનો વેધક સવાલ છે.
જે વિદ્યાર્થીઓએ દિવસ-રાત જોયા વગર મહેનત કરી છે એનો અવાજ સાંભળવાની જરૂર છે. જયારે તેમણે કયાંય ગેરરીતિ કરી નથી તો એમને સજા કેમ? શા માટે ‘રીનીટ’ તેમને આપવાની? વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એક જ સવાલ છે કે અમને અન્યાય ન થવો જોઈએ. રાજકોટના ઈએનટી સર્જન ડો. હિમાંશુ ઠકકરે જણાવ્યું હતું કે આ મુદ્દે ગુજરાત વાલી મંડળની રચના કરવામાં આવી છે.
વાલીઓ તરફથી રાજકોટ માંથી ડો. ચેતન હાસલીયા, ડો. બીપીન ભીમાણી, ડો. હિમાંશુ જાગાણી, અમદાવાદના ડો. કિરણ ખંડેવાલ, સુરતથી ડો. શિંગાળા, પ્રશાંત મુલર, નિલેશ માજી, નિતેષ મજેઠીયા, ભૂજથી સચીનભાઈ વગેરે ગુજરાત વાલીમંડળમાં જોડાયા છે. અંદાજે 400 સભ્યો વાલીમંડળમાં છે અને આ મુદો લડી લેવાના મૂડમાં છે.રાજકોટમાં બહોળી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ‘નો નીટ’ પરીક્ષાની માંગ સામે જોડાયા હતા અને ‘નો નીટ’ નારા લગાવ્યા હતા. વાલીઓ અને વિદ્યાર્થીઓએ હૈયાવરાળ ઠાલવીને પેપર લીકના દોષિતોને સજા કરો. અન્ય વિદ્યાર્થીઓને તેની શા માટે સજા મળે તેવો સૂર ઉઠયો છે.