ભારત સહિત સમગ્ર વિશ્વમાં 1 મેના રોજ ‘આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ‘ ઉજવવામાં આવ્યો.આ ખાસ અવસરે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શ્રમિકોને શુભેચ્છા પાઠવી હતી.આ સાથે જ દિલ્હીમાં ‘શ્રમિક સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સીએમ રેખા ગુપ્તાએ દિલ્હીના કર્મયોગીઓનું સન્માન કર્યું હતું..આ કાર્યક્રમ દરમિયાન તેમણે શ્રમિકોની સુવિધા માટે ઘણી મોટી જાહેરાતો કરી હતી. ચાલો તેના વિશે વિગતે જાણીએ:
દર વર્ષે 35,000 શ્રમિકોને તાલીમ
શ્રમિક સન્માન સમારોહ દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે- “રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા તમામ શ્રમિક ભાઈ-બહેનોને આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આજે શ્રમિક સન્માન સમારોહમાં સામેલ થઈને કર્મયોગી સાથીઓને નમન કરવાની તક મળી.કાર્યક્રમમાં 1,000 બાંધકામ શ્રમિકોને સુરક્ષા કીટ અને શ્રમિક પરિવારોના 100 બાળકોને શિક્ષણ કીટ એનાયત કરવામાં આવી હતી. સાથે જ, દર વર્ષે 35,000 શ્રમિકોને તાલીમ આપતા મોટા પાયાના કૌશલ્ય વિકાસ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.”
નોંધણી અને નવીનીકરણ ફી માફ
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે- “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રમયોગીઓના સન્માનને શાસનની વિચારધારા અને નીતિના કેન્દ્રમાં સ્થાપિત કર્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ ‘વિકસિત ભારત’નો સંકલ્પ શ્રમિક સશક્તિકરણ દ્વારા જ આગળ વધે છે.જ્યાં દરેક શ્રમિક સુરક્ષિત, સન્માનિત અને તકો સાથે જોડાયેલો હોય.આ જ ભાવના સાથે અમારી સરકાર દ્વારા નોંધાયેલા બાંધકામ શ્રમિકો માટે નોંધણી (Registration) અને નવીનીકરણ (Renewal) ફી સંપૂર્ણપણે માફ કરવામાં આવી રહી છે.”
‘શ્રમિક સેવા કેન્દ્ર’ની થશે સ્થાપના
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાહેરાત કરી કે- “‘સામૂહિક લગ્ન યોજના‘ દ્વારા શ્રમિક પરિવારોને સન્માનજનક સહયોગ મળશે.આ સાથે જ, આધુનિક લેબર ચોક અને ‘શ્રમિક સેવા કેન્દ્ર‘ સ્થાપિત કરવામાં આવશે.જેના માધ્યમથી જરૂરી સેવાઓ સીધી શ્રમિકો સુધી પહોંચશે.”આ પ્રસંગે દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી કપિલ મિશ્રા સહિત મોટી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રમેવ જયતે – સીએમ રેખા
આ અગાઉ શ્રમિક દિવસ પર ટ્વીટ કરીને સીએમ રેખા ગુપ્તાએ કહ્યું હતું કે- “શ્રમેવ જયતે! તમામ શ્રમિક ભાઈ-બહેનોને આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની હાર્દિક શુભકામનાઓ.રાષ્ટ્રના નવનિર્માણ અને પ્રગતિમાં આપણા મહેનતુ શ્રમિકોનું યોગદાન સર્વોપરી છે..તમારી નિઃસ્વાર્થ સેવા અને સખત પરિશ્રમને સાદર નમન. દિલ્હી સરકાર શ્રમિકોના સન્માન, તેમના અધિકારોની સુરક્ષા અને સર્વાંગી કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.”
Post Views: 50











