પુડુચેરીના રાજકારણના દિગ્ગજ નેતા અને ‘ઓલ ઇન્ડિયા એન.આર. કોંગ્રેસ’ (AINRC) ના સ્થાપક એન. રંગાસામીએ બુધવારે પાંચમી વખત કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજનિવાસ ખાતે યોજાયેલા એક ગરિમાપૂર્ણ સમારોહમાં ઉપરાજ્યપાલ કે. કૈલાશનાથને તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. રંગાસામીની આ તાજપોશી તેમની લોકપ્રિયતા અને રાજકીય પકડનો પુરાવો આપે છે.
આ શપથ ગ્રહણ સમારોહમાં માત્ર મુખ્યમંત્રી જ નહીં, પરંતુ NDA ગઠબંધનના અન્ય બે મહત્વના નેતાઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. જેમાં ભાજપના એ. નમશિવયમ અને પ્રાદેશિક નેતા મલ્લાડી કૃષ્ણ રાવનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, યાનમ વિસ્તારના પ્રતિનિધિ મલ્લાડી કૃષ્ણ રાવે તેલુગુમાં શપથ લઈને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી.એલ. સંતોષ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
એન. રંગાસામીની રાજકીય સફર અત્યંત પ્રેરણાદાયી છે. દક્ષિણ ભારતના આ દિગ્ગજ નેતાએ કોઈ મોટા પક્ષના ટેકા વગર શૂન્યમાંથી પોતાની પ્રાદેશિક પાર્ટી ‘AINRC’ ઉભી કરી અને તેને સત્તા સુધી પહોંચાડી. તેમની સાદગી અને જનતા સાથેનું સીધું જોડાણ તેમને અન્ય નેતાઓથી અલગ પાડે છે. તેઓ પુડુચેરીના વિકાસ અને પ્રાદેશિક પ્રશ્નોને વાચા આપવા માટે જાણીતા છે.
રંગાસામીના પ્રારંભિક જીવન પર નજર કરીએ તો, તેમનો જન્મ 4 ઓગસ્ટ 1950 ના રોજ પુડુચેરીમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમના પિતા નટેસન કૃષ્ણસામી અને માતા પાંચાલીએ તેમને પાયાના મૂલ્યોનું શિક્ષણ આપ્યું હતું. સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવતા હોવાને કારણે જ તેમના શાસનમાં હંમેશા ગરીબો અને વંચિતો માટેના કલ્યાણકારી કાર્યોની ઝલક જોવા મળે છે.
Post Views: 40










