તામિલનાડુના વિરુધુનગરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 23 લોકોના મોત થયા. અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ છે.
શરૂઆતમાં આ દુર્ઘટનામાં 16 લોકોના મોતના સમાચાર આવ્યા હતા. પરંતુ બાદમાં મૃત્યુઆંક વધીને 23 પર પહોંચ્યો છે. કલેક્ટર એન.ઓ. સુખાપુત્રએ જણાવ્યું હતું કે, “વિરુધુનગરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 23 લોકોના જીવ ગયા છે. 19 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. જેમાં 16 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. 6 ઘાયલો હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે. પોસ્ટમોર્ટમ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બચાવ કામગીરી દરમિયાન બીજો વિસ્ફોટ થવાને કારણે બચાવકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. જેમની મેડિકલ ટીમ દ્વારા સંભાળ લેવામાં આવી રહી છે.”
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, કટ્ટનાર પટ્ટીમાં આવેલી એક ફટાકડા ફેક્ટરીમાં આ બ્લાસ્ટ થયો હતો. આ ફેક્ટરીમાં ફેન્સી ફટાકડા બનાવવામાં આવતા હતા, જેના માલિક ગોવિંદનાલ્લુરના રહેવાસી મુથુ માનિકમ છે. આજે બપોરે જ્યારે મજૂરો ફટાકડાની લૂમ (હારા) બનાવવાનું કામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક ફેક્ટરીમાં જોરદાર ધડાકો થયો હતો. તમામ ઘાયલોને સારવાર માટે વિરુધુનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ફેબ્રુઆરી 2026માં આંધ્રપ્રદેશમાં પણ થઈ હતી મોટી દુર્ઘટના
આ અગાઉ ફેબ્રુઆરી 2026માં આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લામાં પણ એક ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. તે અકસ્માતમાં 21 લોકોના મોત થયા હતા અને 8 લોકો ઘાયલ થયા હતા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને 20 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી અને ઘાયલોની તમામ સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે તેમ જણાવ્યું હતું.
નોંધનીય છે કે, દેશમાં વારંવાર ફટાકડાની ફેક્ટરીઓમાં થતા વિસ્ફોટોને કારણે અનેક લોકો જીવ ગુમાવે છે. આ સ્થિતિમાં સરકારે કડક નિયમો બનાવવાની જરૂર છે જેથી આવી ઘટનાઓ પર રોક લગાવી શકાય.
Post Views: 41











