જ્ઞાતિ-સમાજની સીલ વાડીઓ પણ સોગંદનામા પરથી ખોલી દેવા નિર્ણય : આગેવાનો મનપામાં ઉમટયા
શાળા, હોસ્પિટલ બાદ હવે કોમ્યુનિટી હોલને રાહતમાં પ્રાથમિકતા છતાં મુદ્દતમાં ફાયર એનઓસી તો લેવું જ પડશે – કમિશ્નર : મેયર નયનાબેન પેઢડીયાનો પણ હકારાત્મક પ્રતિભાવ : નરેન્દ્રભાઇ સોલંકીની આગેવાનીમાં રજૂઆતને સફળતા. ટીઆરપી ગેમઝોનની આગ દુર્ઘટનાના કારણે પૂરા રાજકોટમાં ફાયર એનઓસી અને બીયુ વગરની મિલ્કતો સીલ કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી છે ત્યારે બે દિવસ પહેલા શાળાઓ અને હોસ્પિટલો સોગંદનામાના આધારે ખોલવા મંજૂરી અપાઇ છે. આ જ રીતે શહેરમાં આવેલા જુદા જુદા ખાનગી કોમ્યુનિટી હોલ, સમાજની વાડીઓને પણ સીલ કરવામાં આવતા મોટો સામાજીક પ્રશ્ર્ન ઉભો થઇ ગયો છે જે અંગે આજે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્તના પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકીની આગેવાનીમાં ડઝન જેટલી જ્ઞાતિના આગેવાનોએ મહાપાલિકામાં ધામા નાખ્યા હતા. કમિશ્નર દેવાંગ દેસાઇ અને મેયર નયનાબેન પેઢડીયાને જ્ઞાતિઓના આગેવાનોએ આવેદનપત્ર પાઠવીને વાડીઓના સીલ ખોલવા રજુઆત કરી હતી.











