કુવૈતની ઇમારતમાં ભીષણ આગથી 41 લોકોનાં મોત, મોટાભાગના ભારતીય: અનેક ઇજાગ્રસ્તો સારવાર હેઠળ, દૂતાવાસના સંપર્કમાં વિદેશ મંત્રાલય

કુવૈતની એક ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળવાથી 41 વ્યક્તિઓનાં મોત થયાં છે. જેમાંથી મોટાભાગના ભારતીયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય ત્રીસેક વ્યક્તિઓને ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના કુવૈતના Mangaf શહેરમાં સ્થાનિક સમય પ્રમાણે સવારે 6 વાગ્યાની આસપાસ (ભારતીય સમય પ્રમાણે સવારે 9 વાગ્યે) બની. જે બિલ્ડિંગમાં આગ લાગી તેમાં મોટી સંખ્યામાં કામદારો રહેતા હોવાનું જાણવા મળ્યું છે. ઘણા બધાને બચાવી લેવામાં આવ્યા, પરંતુ આગના કારણે સમગ્ર ઈમારતમાં ધુમાડો પ્રસરી ગયો હતો, જેથી ચાળીસેક લોકોને ન બચાવી શકાયા. ઇમારતમાં કુલ 160 લોકો રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

 

 

PTIના રિપોર્ટ અનુસાર, અહીં રહેતા કામદારોમાંથી મોટાભાગના ભારતીયો જ હતા. અમુક મીડિયા રિપોર્ટ્સમાં મૃતકોમાં તમામ ભારતીયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જ્યારે અમુક રિપોર્ટ્સ અનુસાર, કુલ 41 મૃતકો પૈકી 30 ભારતીયો હતા. આ મામલે હજુ અધિકારિક પુષ્ટિની રાહ જોવામાં આવી રહી છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે X પર એક પોસ્ટ કરીને લખ્યું કે, કુવૈતમાં આગ લાગવાની ઘટના વિશે સાંભળીને સ્તબ્ધ છું. 40 લોકોનાં મોત નોંધાયાં છે, જ્યારે 50ને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારતીય એમ્બેસેડર કૅમ્પ ખાતે પહોંચ્યા છે અને આગળની જાણકારીની રાહ જોવામાં આવી રહી છે. આ સાથે તેમણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના સ્વજનોને સાંત્વના પાઠવી હતી અને કહ્યું હતું કે આ ઘટનામાં અસરગ્રસ્તોની મદદ માટે દૂતાવાસ હંમેશા સક્રિય રહેશે.

આ મામલે કુવૈતમાં ભારતીય દૂતાવાસે એક ઈમરજન્સી હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે અને જણાવ્યું છે કે જેઓ પણ ઘટનાથી અસરગ્રસ્ત થયા છે તેઓ સતત તેમના સંપર્કમાં રહે. બીજી તરફ, ભારતીય દૂતાવાસે સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા લોકોની પણ મુલાકાત લીધી હતી.

ઘટનાને લઈને પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઇમારતમાં ક્ષમતા કરતાં વધુ કામદારો રહેતા હતા અને જેણે લઈને અગાઉ પણ સૂચના આપવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે, ઘણા લોકો ક્યાં અને શું કામ કરે છે અને તેમનો મૂળ દેશ કયો છે તેવી પ્રાથમિક જાણકારી પણ ન હતી અને તેમ છતાં તેઓ અહીં વસવાટ કરતા હતા.

આગ શા માટે લાગી તેનું કોઇ કારણ હજુ જાણવા મળ્યું નથી. સ્થાનિક અધિકારીએ કહ્યું કે હાલ તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE