શિમલા: હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધી 66 લોકોનાં મોત થયા છે. રાજ્યભરમાં 100થી વધુ રસ્તાઓ બંધ થતાં અનેક વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે અને જનજીવન પર ગંભીર અસર પડી છે.
હવામાન વિભાગે 28 જુલાઈ સુધી શિમલા, કાંગડા, મંડી, કુલ્લુ, ચંબા, સિરમૌર, બિલાસપુર, હમીરપુર, સોલન અને ઊના સહિત 10 જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
કાંગડા જિલ્લાના બોહ ઘાટીમાં વાદળ ફાટતાં ભારે નુકસાન થયું છે. મકાઈનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે, માર્ગો અને પુલ ધોવાઈ ગયા છે, જ્યારે 160થી વધુ અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડી સરકારી શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો છે. કિંનૌર અને લાહૌલ-સ્પિતીમાં પણ પૂર અને ભૂસ્ખલનથી અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે.
રાજ્ય સરકાર, આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને રાહત ટીમો બચાવ અને રાહત કામગીરીમાં સતત વ્યસ્ત છે. પ્રશાસને લોકોને નદી-નાળાં અને ભૂસ્ખલનપ્રવણ વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની અપીલ કરી છે.











