સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા આજે ભારતીય સેનાના મેજર અભિલાષા બરાકને વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવશે. તેમને લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNIFIL) માં આપેલા અપ્રતિમ યોગદાન બદલ પ્રતિષ્ઠિત ”યુનાઇટેડ નેશન્સ મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ” માટે નામાંકિત કરવામાં આવ્યા છે. પશ્ચિમ એશિયાના દેશ લેબનાનમાં તૈનાત રહેવા દરમિયાન મહિલાઓ અને બાળકીઓ સાથેના સંપર્ક અને સશક્તિકરણના પ્રયાસો માટે તેમને વર્ષ 2025નો આ સર્વોચ્ચ પુરસ્કાર એનાયત કરાશે.
આજે સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં સન્માન: મેજર અભિલાષા બરાક સંયુક્ત રાષ્ટ્ર અંતરિમ બળ લેબનાન (UNIFIL) માં મહિલા સહભાગિતા દળ (FET) ના કમાન્ડર તરીકે ભારતીય બટાલિયનમાં કાર્યરત છે. તેઓ ભારતીય સેનાના પ્રથમ મહિલા લડાકુ હેલિકોપ્ટર પાયલટ પણ છે. સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં આજે એટલે કે 29 મેના રોજ ‘આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિક દિવસ’ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં તેમને આ સન્માન આપવામાં આવશે.
બે શહીદ ભારતીય જવાનોને મરણોત્તર સર્વોચ્ચ સન્માન: આંતરરાષ્ટ્રીય શાંતિ રક્ષક દિવસના અવસરે સંયુક્ત રાષ્ટ્ર બે ભારતીય શાંતિ રક્ષકોને મરણોત્તર સર્વોચ્ચ સન્માનથી નવાજશે. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ આજે આ બંને જવાનોને પ્રતિષ્ઠિત ‘ડેગ હેમર્સોલ્ડ મેડલ’ એનાયત કરશે. આ વીર જવાનોમાં લાન્સ હવાલદાર હરભજન સિંહ અને નાયબ સુબેદાર સુજીત કુમાર પ્રધાનનો સમાવેશ થાય છે. લાન્સ હવાલદાર હરભજન સિંહે કોંગોમાં સંયુક્ત રાષ્ટ્રના સ્થિરીકરણ મિશનમાં સેવા આપી હતી. જ્યારે નાયબ સુબેદાર સુજીત કુમાર પ્રધાન સાઉથ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન હેઠળ પોતાની ફરજ બજાવતા શહીદ થયા હતા.
આ ગૌરવ મેળવનાર દેશની ત્રીજી મહિલા: ભારત માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે. કારણ કે મેજર અભિલાષા બરાક દેશની ત્રીજી એવી મહિલા અધિકારી છે જેમને લિંગ સમાનતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે આ પુરસ્કાર મળી રહ્યો છે. તેમના પહેલા મેજર સુમન ગવાની અને મેજર રાધિકા સેનને સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનોમાં તેમના સરાહનીય કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
-
મેજર સુમન ગવાની (2019): તેમણે સાઉથ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્રના મિશનમાં સેવા આપી હતી અને વર્ષ 2019નો આ એવોર્ડ બ્રાઝિલના નૌસેના અધિકારી કમાન્ડર કાર્લા મોન્ટેઇરો ડી કાસ્ટ્રો અરાઉજો સાથે સંયુક્ત રીતે મેળવ્યો હતો.
-
મેજર રાધિકા સેન (2023): કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર સંગઠન સ્થિરીકરણ મિશનમાં સેવા આપી ચૂકેલા મેજર રાધિકા સેનને વર્ષ 2023ના ‘મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. સન 2016 માં શરૂ કરાયેલો આ પુરસ્કાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 1325 (મહિલા, શાંતિ અને સુરક્ષા) ના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવા માટે એનાયત કરવામાં આવે છે.
શાંતિ અભિયાનોમાં ભારત અગ્રેસર: સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષા અભિયાનોમાં સૌથી વધુ સૈનિકો અને પોલીસ દળ મોકલનારા દેશોમાં ભારત મોખરાનું સ્થાન ધરાવે છે. ફેબ્રુઆરી 2026 સુધીના આંકડા અનુસાર, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા દળ (UNIFIL) માં 48 દેશોના 7,538 શાંતિ સૈનિકો સામેલ હતા, જેમાંથી ભારત તરફથી 642 કર્મચારીઓ તૈનાત હતા. આ મામલે ભારત સમગ્ર વિશ્વમાં ઇટાલી (784), ઇન્ડોનેશિયા (756) અને સ્પેન (660) પછી ચોથા ક્રમે છે.
Post Views: 41











