બોલિવૂડ અને ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી મૌની રોય અને તેના પતિ સૂરજ નાંબિયાર છેલ્લા કેટલાક સમયથી તેમના અંગત સંબંધોને લઈને સતત ચર્ચામાં હતા. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અનેક અટકળો અને અફવાઓ વચ્ચે આજે આ કપલે ઓફિશિયલ પોસ્ટ શેર કરીને તેમના અલગ થવાના સમાચારની પુષ્ટિ કરી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા બાદથી જ તેમના સંબંધોમાં ખટાશ આવી હોવાની ચર્ચા તેજ બની હતી.પરંતુ હવે આ જોઈન્ટ પોસ્ટ દ્વારા તેમણે તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
## લગ્નના 4 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય
મૌની રોય અને સૂરજ નાંબિયારે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે તેઓ લગ્નના 4 વર્ષ બાદ હવે પરસ્પર સહમતિથી અલગ થઈ રહ્યા છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, “અમારી અંગત જિંદગીમાં ઘણા લોકોને ખૂબ જ રસ પડી રહ્યો છે.અમે તમને જણાવવા માંગીએ છીએ કે અમે પરસ્પર સંમતિથી એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે.અત્યારે અમે શાંતિ અને અંગત રીતે અમારી જાતને સંભાળી રહ્યા છીએ.”
## ખોટી અફવાઓ પર આપી પ્રતિક્રિયા
કપલે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, “આ સમયે અમારી પર્સનલ લાઈફને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ખોટી અને મનઘડંત વાતો ફેલાવવામાં આવી રહી છે. જે હકીકતથી તદ્દન અલગ છે. અમે ઘણું વિચારીને જ અલગ થવાનો નિર્ણય લીધો છે. અને હવે અમે પોતપોતાના અલગ રસ્તે આગળ વધીશું.” મૌની અને સૂરજની આ પોસ્ટ જોઈને તેમના ચાહકોમાં આઘાત અને આશ્ચર્યની લાગણી જોવા મળી રહી છે.
## લાંબા ડેટિંગ બાદ વર્ષ 2022માં કર્યા હતા લગ્ન
ઉલ્લેખનીય છે કે, મૌની રોય અને સૂરજ નાંબિયારે વર્ષ 2022માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે, સૂરજે મૌનીને દગો આપ્યો છે. જેના કારણે તેમના સંબંધોમાં તિરાડ પડી છે. જોકે, થોડા દિવસ પહેલા મૌનીએ પ્રાઈવસી જાળવી રાખવા અપીલ કરી હતી. પરંતુ હવે આખરે તેમણે સત્તાવાર રીતે છૂટાછેડાની જાહેરાત કરી દીધી છે.
Post Views: 37










