પાવિજેતપુર તાલુકાના દક્ષિણ વિસ્તારમાં આવેલા નાની રાસલી, હિરપરી અને ભેસાવાહી સહિતના ગામોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી દીપડાનો વસવાટ અને અવરજવર વધતા સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રહેણાંક વિસ્તારોની નજીક જ દીપડાના આંટાફેરા જોવા મળતા ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
ગ્રામજનોના રાત ના ઉજાગરા છેલ્લા કેટલાક દિવસોથી દીપડો રાત્રિના સમયે ગામની સીમ અને રહેણાંક વિસ્તારોની આસપાસ દેખાતા લોકો સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. ખાસ કરીને ખેત મજૂરો અને પશુપાલકોમાં દહેશતનો માહોલ છે, જેના કારણે રાત્રિ દરમિયાન ગ્રામજનોને રખવાળું કરવા માટે ઉજાગરા કરવાની નોબત આવી છે. દીપડો ગમે ત્યારે પશુઓ કે માનવી પર હુમલો કરી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.
વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું દીપડાની હાજરી અંગે ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક જાણ કરતા વિભાગ હરકતમાં આવ્યું છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે. જોકે, દીપડો હજી સુધી પાંજરે પુરાયો ન હોવાથી લોકોમાં હજી પણ ભયનો માહોલ યથાવત છે. વહેલી તકે આ હિંસક પ્રાણી પકડાય અને વિસ્તાર સુરક્ષિત બને તેવી માંગણી સ્થાનિકો કરી રહ્યા છે.
રીપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર
Post Views: 0











