જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુરના કણકીયા પ્લોટ વિસ્તારમાં એક યુવાનની જાહેરમાં છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ કમલેશ વાઘેલા તરીકે થઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, અંગત અદાવતમાં કેટલાક શખ્સોએ કમલેશ વાઘેલા પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ જાહેરમાં જ છરીના ઘા ઝીંકતાં કમલેશ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
આ સમગ્ર હત્યાની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજ સહિતના મહત્વના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે અને તેના આધારે આરોપીઓની ઓળખ કરીને તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.
જેતપુરમાં જાહેરમાં બનેલી આ હત્યાની ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપથી કાયદાના સકંજામાં લાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.










