સુરત શહેરના પોશ ગણાતા ઘોડદોડ રોડ વિસ્તારમાં જાણીતા ઉદ્યોગપતિ અભિષેક કેજરીવાલની પત્ની અને મુંબઈના બિઝનેસમેનની પુત્રી ખ્યાતિએ લગ્નના માત્ર બે જ મહિનામાં પોતાના બંગલામાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતુ..જો કે,પોલીસ હવે આ હાઈપ્રોફાઈલ કેસમાં મોબાઈલ ડેટા અને વોટ્સએપ ચેટિંગ દ્વારા આપઘાત પાછળનું સચોટ કારણ શોધવા મથામણ કરી રહી છે.
ઘટનાની વિગત: બંધ રૂમમાં મળી લાશ
એસીપી વિજય મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, ખ્યાતિ બપોરે જમ્યા બાદ પોતાના બેડરૂમમાં આરામ કરવા ગઈ હતી. સામાન્ય રીતે તે સાંજે રૂમની બહાર આવી જતી હોય છે. પરંતુ લાંબા સમય સુધી દરવાજો ન ખુલતા પરિવારને શંકા ગઈ હતી.પરિવારે તેના પતિને જાણ કર્યા બાદ બીજી ચાવીથી રૂમ ખોલતા ખ્યાતિ પંખા સાથે દુપટ્ટા વડે લટકતી હાલતમાં મળી આવી હતી.
તપાસના મુખ્ય કેન્દ્રબિંદુઓ:
-
મોબાઈલ અને FSL: પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. આથી, ખ્યાતિનો મોબાઈલ ફોન રિકવર કરીને FSLમાં મોકલવામાં આવ્યો છે. છેલ્લે કોની સાથે વાત થઈ હતી અને વોટ્સએપ ચેટમાં કોઈ વિવાદ હતો કે કેમ તેની તપાસ ચાલી રહી છે.
-
અંતિમ કોલ: પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આપઘાત પહેલા ખ્યાતિએ તેના ભાઈ-બહેન સાથે વાત કરી હતી.
-
પારિવારિક જીવન: લગ્નને હજુ માત્ર 60 દિવસ જ થયા હોવાથી પોલીસ પારિવારિક કંકાસ કે અન્ય કોઈ દબાણ અંગે પણ પરિવારના સભ્યોની પૂછપરછ કરી રહી છે.
કરુણતા: માતા-પિતા વિદેશ જાય તે પહેલા જ પુત્રીની અર્થી ઉઠી
મૃતક ખ્યાતિ મુંબઈના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ દીપક બંસલની પુત્રી હતી. તેનો ભાઈ અને બહેન અમેરિકામાં અભ્યાસ કરે છે. તેમના પદવીદાન સમારોહ (Convocation) માં હાજરી આપવા માટે માતા-પિતા વિદેશ જવાના હતા. પરંતુ તે પહેલા જ દીકરીના મોતના સમાચાર મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
પોલીસની કાર્યવાહી
ઉમરા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે. પેનલ પીએમ (Post Mortem) રિપોર્ટ અને મોબાઈલના ડેટા રિકવર થયા બાદ આ હાઈપ્રોફાઈલ કેસ પરથી પડદો ઉઠશે તેવી શક્યતા છે.
Post Views: 43











