મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસરોને પગલે ભારતમાં LPG ગેસ પુરવઠા પર માઠી અસર પડી છે. દેશમાં સર્જાયેલી આ અછતને પહોંચી વળવા અને સિલિન્ડરના જથ્થાની સંગ્રહખોરી ડામવા માટે કેન્દ્ર સરકારે કડક પગલાં લીધા છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંઘ પુરીની સૂચના બાદ, LPG બુકિંગના નિયમોમાં ટૂંકા ગાળામાં ત્રીજી વખત ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા નિયમની સૌથી વધુ અસર ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળશે, જ્યાં હવે લોકોએ બીજો સિલિન્ડર મેળવવા માટે લાંબી રાહ જોવી પડશે.
બુકિંગના સમયગાળામાં ધરખમ વધારો સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારો માટે સિલિન્ડર બુકિંગનો પિરિયડ વધારીને હવે 45 દિવસ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 6 માર્ચના રોજ આ સમયગાળો 21 દિવસ હતો, જે 9 માર્ચના રોજ વધારીને 25 દિવસ કરાયો હતો અને હવે તેને સીધો 45 દિવસ કરી દેવાયો છે. આ ફેરફાર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગભરાટમાં આવીને થતું બુકિંગ (Panic Booking) અટકાવવાનો છે, જેથી કરીને જરૂરિયાત વગર લોકો સિલિન્ડરનો સ્ટોક ન કરે અને પુરવઠો જળવાઈ રહે.
અનિવાર્ય સેવાઓને અપાશે પ્રાથમિકતા સપ્લાય ચેઈન ખોરવાય નહીં તે માટે સરકાર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. સામાન્ય ગ્રાહકો માટે નિયમો કડક કરવાની સાથે હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, કોમ્યુનિટી સેન્ટરો અને અન્ય અનિવાર્ય સેવાઓને ગેસ પુરવઠામાં પ્રાથમિકતા આપવામાં આવશે. કેન્દ્ર સરકારે સંગ્રહખોરી અટકાવવા માટે ખાસ ટીમોને મેદાનમાં ઉતારી છે જે નિયમિત ચેકિંગ કરશે. આ કડક અમલીકરણ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉર્જા પુરવઠાને સ્થિર રાખવા અને ગેસની ન્યાયી વહેંચણી સુનિશ્ચિત કરવા માંગે છે.
Post Views: 324











