અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા: નોબલનગર ટર્નિંગ પાસે મહિલા અને યુવક પર લાકડીઓ વડે જીવલેણ હુમલો, પોલીસ ‘હદ’ના વિવાદમાં ઉલઝી…
અમદાવાદ: શહેરના નોબલનગર ટર્નિંગ પાસે ૩ માર્ચની રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. અંગત અદાવતમાં પોલીસ સ્ટેશન જઈ રહેલા એક પરિવારને રસ્તામાં જ આંતરી ચાર ગુંડાઓએ નિર્દયતાથી માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા સમગ્ર શહેરમાં રોષ જોવા મળી રહ્યો છે.
સરાજાહેર આતંક: મળતી માહિતી મુજબ, એક યુવક તેના પરિવાર સાથે કોઈ જૂની અદાવત મામલે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો. આ દરમિયાન નોબલનગર ટર્નિંગ પાસે ચાર અજાણ્યા શખ્સોએ તેમને આંતર્યા હતા અને લાકડીઓ વડે યુવક પર તૂટી પડ્યા હતા.
મહિલાઓ પર પણ હુમલો: જ્યારે પરિવારની મહિલાઓ યુવકને બચાવવા વચ્ચે પડી, ત્યારે આ પાશવી હુમલાખોરોએ સહેજ પણ દયા દાખવી નહોતી. તેમણે મહિલાઓ પર પણ લાકડીઓનો વરસાદ વરસાવ્યો હતો, જેમાં એક મહિલા લોહીલુહાણ થઈ ગઈ હતી અને તેના હાથ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પોલીસની શરમજનક ભૂમિકા (હદ વિવાદ): ઘટનાની જાણ થતા જ સરદારનગર અને એરપોર્ટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ પીડિતોને હોસ્પિટલ ભેગા કરવા કે આરોપીઓને પકડવાને બદલે બંને પોલીસ મથકો વચ્ચે ‘હદ વિવાદ’ શરૂ થયો હતો. આ ઘટના કયા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવે છે તે નક્કી કરવામાં પોલીસે કિંમતી સમય વેડફ્યો હતો.
પીડિતોનો આક્રોશ: ઈજાગ્રસ્ત મહિલા અને પરિવારે રડતા રડતા પોલીસની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, “ગુંડાઓને પોલીસનો કોઈ ડર રહ્યો નથી અને પોલીસ માત્ર પેટ્રોલિંગના નામે દેખાડો કરે છે.”
Post Views: 164











