રાજકોટમાં સેન્ચ્યુરી રિગાલિયાના બિલ્ડરોએ રિઝર્વેશન પ્લોટમાં ગેરકાયદે ઓરડીઓ ઉભી કરી હોવાનો આરોપ છે..આ આરડીઓમાં રહેતા મજૂરોએ જાહેરમાં ગંદવાડ ફેલાવતા કસ્તુરી કાસાના રહીશોની હાલત કફોડી બની બની છે.
રાજકોટના વોર્ડ નં. 11માં આવતા મવડી વિસ્તારના અંબિકા ટાઉનશિપમાં કસ્તુરી કાસા સોસાયટી આવેલી છે. આ કસ્તુરી કાસા સોસાયટીના રહીશો બાજુમાં બની રહેલા સેન્ચ્યુરી રિગાલિયાને કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.કસ્તુરી કાસા સોસાયટીની બાજુમાં જ બની રહેલા ‘સેન્ચ્યુરી રિગાલિયા’ નામના બિલ્ડિંગ પ્રોજેક્ટના મજૂરો દ્વારા ફેલાવવામાં આવતા ગંદવાડને કારણે સ્થાનિકોનું જીવવું દુષવાર બન્યું છે.
કસ્તુરી કાસાના રહીશોના જણાવ્યા અનુસાર મવડી કણકોટ 80 ફૂટ રોડ પર નિર્માણાધિન સેન્ચ્યુરી રિગાલિયાના બિલ્ડરોએ આર.એમ.સી.ના રિઝર્વેશન પ્લોટમાં પરવાનગી વગર 30થી 40 જેટલી ઓરડીઓ તેમના કામદાર મજૂરો માટે તાણી દીધી છે. આ ઓરડીઓમાં રહેતા મજૂરો દ્વારા શૌચાલય અને નહાવા-ધોવાનું ગંદુ પાણી સીધું આર.એમ.સી.ના ખુલ્લા પ્લોટમાં છોડવામાં આવે છે.સતત ભરાઈ રહેતા ગંદા પાણી અને ગંદવાડને કારણે વિસ્તારમાં મચ્છરોનો ભારે ત્રાસ વધી ગયો છે.. જેનાથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.
આ વિસ્તારના રહીશોનો આક્ષેપ છે કે, સેન્ચ્યુરી રિગાલિયા પ્રોજેક્ટમાં કામ કરતા લોકો દ્વારા આ વિસ્તારમાં દારૂની ખાલી બોટલો અને એઠવાડ ગમે ત્યાં ફેંકવામાં આવે છે. જે પર્યાવરણની સાથે સામાજિક વાતાવરણ પણ બગાડી રહ્યું છે.સમગ્ર મામલે સ્થાનિક રહીશે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમણે અગાઉ ટી.પી.શાખા, સોલિડ વેસ્ટ વિભાગ અને છેલ્લે મ્યુનિસિપલ કમિશનરને પણ લેખિતમાં રજૂઆત કરી છે.તેમ છતાં, એક વિભાગ બીજા વિભાગ પર જવાબદારી ઢોળી રહ્યો છે અને નક્કર કામગીરી કરવામાં આવતી નથી.
સેન્ચ્યુરી રિગાલિયા પ્રોજેક્ટ આસપાસ અગાઉ સોલિડ વેસ્ટ વિભાગે જેસીબી મોકલી સફાઈ કરાવી હતી.. પરંતુ થોડા જ દિવસોમાં સ્થિતિ ફરી જૈસે-થે થઈ ગઈ છે. હવે કસ્તુરી કાસાના રહીશોએ વિવિધ વિભાગોમાં અરજી કર્યા બાદ પણ સેન્ચ્યુરી રિગાલિયા પ્રોજેક્ટ દ્વારા ફેલાવતા દૂષણ અને કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા કસ્તુરી કાસાના રહીશોની સ્થિતિ કફોડી બની છે.આગામી સમયમાં કસ્તુરી કાસા સહિત આસપાસની સોસાયટીના રહીશો દ્વારા હવે સેન્ચ્યુરી રિગાલિયા પ્રોજેક્ટથી ફેલાતા ન્યૂસન્સ મામલે બિલ્ડરો વિરુદ્ધ પોલીસ કમિશનરમાં અરજી કરવામાં આવે તો પણ નવાઈ નહીં.
Post Views: 136











