અમદાવાદ / ખ્યાતિ નર્સિંગ કોલેજ થશે બંધ? હોસ્પિટલ કાંડમાં તપાસ કેટલે પહોંચી, જાણો તમામ અપડેટ

Khyati Hospital Case: ક્રાઈમબ્રાંચ JCP શરદ સિંધલે કહ્યું કે, ક્રાઈમબ્રાંચની ટીમે આરોપીના ઘરે તપાસ શરૂ કરી છે, એક આરોપી ઓસ્ટ્રેલિયા હોવાની માહિતી મળી રહી છે

ગુજરાતમાં 2 સ્વસ્થ લોકોનો ભોગ લેનાર ખ્યાતિ હોસ્પિટલને કારણે હોસ્પિટલમાં ભણતા મેડિકલ વિદ્યાર્થીઓની હાલત કફોડી થઇ છે. ખ્યાતિ હોસ્પિટલના લેભાગુ તબીબોનાં વાંકે 2 લોકોના જીવ ગયા બાદ હોસ્પિટલ બંધ કરી દેવાઇ છે. જેને લઇને ત્યાં અભ્યાસ કરતા મેડિકલ વિદ્યાર્થીઓનું શિક્ષણ અધ્ધરતાલ બન્યું છે. આજે ગુજરાત નર્સિંગ કાઉન્સિલની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી. જ્યાં હોસ્પિટલ બંધ હોવાથી ગુજરાત નિર્સિંગ કાઉન્સિલ દ્વારા નર્સિંગ કોલેજ અંગે રિપોર્ટ તૈયાર કર્યો. જેમાં હાલની સ્થિતિ જોતાં હોસ્પિટલમાં ચાલતી મેડિકલ કોલેજ બંધ કરવાની સ્થિતિ પેદા થઇ છે. હાલની સ્થિતિને જોતાં નિયમાનુસાર નર્સિંગ ટીમ દ્વારા બીજા અને ત્રીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને અન્ય કોલેજમાં ટ્રાન્ફર કરવા તેમજ પહેલા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓના એડમિશન રદ થવાની સંભાવના છે. તેવામાં ખ્યાતિ નર્સિંગ કોલેજ અંગે આખરી નિર્ણય ગુજરાત નર્સિંગ કાઉન્સિલ બોર્ડ દ્વારા લેવામાં આવશે. મહત્વનું છે કે હોસ્પિટલમાં હાલ GNM નર્સિંગના 56 વિદ્યાર્થીઓ છે. જ્યારે BSC નર્સિંગના 154 વિદ્યાર્થીઓ છે. તો ચાલુ વર્ષમાં GNM નર્સિંગની 30 બેઠકો સામે 2 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે.

ડો.પ્રશાંત વજીરાણીને લોકઅપમાં સુવિધા આપનાર પોલીસકર્મી સસ્પેન્ડ

હત્યારી ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોત મામલે ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ હોસ્પિટલમાં તપાસ હાથ ધરશે. સાથો સાથ અન્ય ફરાર આરોપીઓને પણ પકડવા તપાસ તેજ કરશે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે UN મહેતા હોસ્પિટલની મેડિકલ ટીમ પણ હાજર રહેશે. આ કેસમાં ઝડપાયેલા ડો.પ્રશાંત વજીરાણીને લોકઅપમાં સુવિધા આપનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PSO લાલસંગ સાગરદાનને સસ્પેન્ડ કરાયા છે.

ક્રાઈમબ્રાંચ JCP શરદ સિંધલે શું કહ્યું ?

ખ્યાતિ હોસ્પિટલમાં મોતના મામલે ક્રાઈમબ્રાંચ JCP શરદ સિંધલે પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેમણે કહ્યું કે, ”ક્રાઈમબ્રાંચને ઘટનાની તપાસ સોંપાયા બાદ 3 ટીમની રચના કરવામાં આવી છે. ક્રાઈમબ્રાંચની ટીમે આરોપીના ઘરે તપાસ શરૂ કરી છે. એક આરોપી ઓસ્ટ્રેલિયા હોવાની માહિતી મળી રહી છે. જેથી તેને પકડવા માટે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવશે. તો વધુ તપાસ માટે 3 PIની નિમણૂંક કરવામાં આવશે. આમ તો FIRમાં 5 નામ છે પરંતુ તપાસમાં વધુ નામ સામે આવશે તો તેમની પણ અટકાયત કરાશે”.

રાજ્યમાં મેડિકલ માફિયાઓ બેફામ છે: અમિત ચાવડા

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના વિવાદને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યા છે. સરકાર પર પ્રહાર કરતા અમિત ચાવડાએ કહ્યું કે, “ખ્યાતિ હોસ્પિટલ તો એક જ કિસ્સો છે. જો રાજ્યમાં આવી તપાસ થાય તો આવી ઘણી હોસ્પિટલો સામે આવશે. રાજ્યમાં મેડિકલ માફિયાઓ બેફામ છે. મેડિકલ માફિયાઓ બેફામ એટલા માટે છે કે સરકાર તેમને પ્રોત્સાહન આપે છે, એવું પણ કહેવાય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં નેતાઓના પૈસાનું રોકાણ છે. આવી ઘણી હોસ્પિટલો છે જે ભાજપના મળતિયાઓના પૈસાથી શરૂ કરાઈ છે”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE