ખાણ અને ખનીજ વિભાગના નિયામક નરેશ જાનીની નોકરીમાંથી હકાલપટ્ટી

ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોએ નોંધેલા એક લાંચ કેસમાં ગુજરાત સરકારે વર્ગ 1ના અધિકારીની સેવા સમાપ્ત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગત જૂન મહિનામાં વચેટિયા થકી 2 લાખ રૂૂપિયાની લાંચ લેવાનો કેસ ખાણ ખનિજ વિભાગના મદદનીશ નિયામક-ફલાઈંગ સ્કવોડ સુરત નરેશ જાની સામે નોંધાયો હતો. વચેટિયા કપીલ પ્રજાપતિની ધરપકડ બાદ ફરાર થઈ ગયેલા નરેશકુમાર માવજીભાઇ જાની ગત 29 જુલાઈના રોજ અદાલત સમક્ષ હાજર થતા સુરત એસીબીએ તેમની ધરપકડ કરી હતી.

લાંચ કેસની તપાસમાં સામે આવેલી બાબતો અંગે એસીબીએ સરકારના સલંગ્ન વિભાગમાં અહેવાલ પાઠવ્યો હતો અને જેના આધાર પર અજમાયશી કલાસ વન અધિકારી નરેશ જાનીની ફરજ સમાપ્ત કરવામાં આવી છે.સુરતના ભાઠા વિસ્તારમાં રોયલ્ટી પરમિટ આધારે રેતી ખનનનું કામ કરતા ધ સૂર્યપુર લેબર્સ એન્ડ વર્ક કો.ઑ. સોસાયટીના મેનેજરે એસીબીને ફરિયાદ કરી હતી કે, ખાણ-ખનિજ વિભાગના ફલાઈંગ સ્કવોડના મદદનીશ નિયામક નરેશ જાની અને વચેટિયો કપિલ પ્રજાપતિ ખનનની કામગીરીમાં હેરાન નહીં કરવા પેટે 2 લાખની લાંચ માગે છે. આ ફરિયાદના આધારે ગત 11 જૂનના રોજ સુરત ખાતે 2 લાખની લાંચ સ્વીકારતા કપીલ પરસોત્તમભાઇ પ્રજાપતિ (રહે. સંસ્કાર વિલા સોસાયટી, સરથાણા જકાતનાકા, સુરત) ને એસીબીની ટીમે રંગે હાથ પકડ્યો હતો.

ફરાર થઈ ગયેલા નરેશ જાનીએ સેશન્સ કોર્ટ સુરત અને ત્યારબાદ હાઇકોર્ટમાં આગોતરા જામીન મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને સફળતા મળી ન હતી. આથી નરેશ જાનીએ ગત 29 જુલાઈના રોજ નામદાર સેશન્સ કોર્ટ સુરત ખાતે આત્મ સમર્પણ કરતા તેમની એસીબી અધિકારીએ વિધિવત ધરપકડ કરી રિમાન્ડ પણ મેળવ્યા હતા.
એસીબીએ સરકારી ફરજ દરમિયાન ભ્રષ્ટાચારના કેસમાં ઝડપાયેલા નરેશકુમાર માવજીભાઇ જાનીનો ગુજરાત સરકારમાં અહેવાલ મોકલ્યો હતો. જેના આધારે ગુજરાત સરકારે મહત્વનો તેમજ દાખલારૂૂપ નિર્ણય લઈ લાંચ કેસના આરોપી એવા નરેશ જાનીની ગત તારીખ 11 જૂન 2024ના રોજથી સેવા સમાપ્ત કરવાનો હુકમ કર્યો છે. હાલ નરેશ જાની લાંચ કેસમાં જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE