પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં ૯૦ ટકા પાણી-વીજળીની બચતથી ખેડૂતોને મોટો ફાયદો

ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદનથી ભાવ સારા મળતા આર્થિક ફાયદો પણ મોટો

રાજકોટ તા. ૧૬ જુલાઈ – ગુજરાત રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને જમીનને નંદનવન બનાવી. ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવીને સમૃદ્ધ બને તેના માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં તેમજ દેશમાં અનેક ખેડૂતો ઝેરી રસાયણયુક્ત તેમજ સજીવ ખેતીના દુષ્પરિણામો જોઈ ચૂક્યા છે અને તેને છોડીને હવે પ્રાકૃતિક કૃષિ અપનાવવા લાગ્યા છે, ત્યારે પ્રાકૃતિક કૃષિના અનેકવિધ ફાયદાઓ વિવિધ અભ્યાસો તથા ખેડૂતોના અનુભવોમાં સામે આવ્યા છે.
રાજ્યપાલશ્રી આર્ચાય દેવવ્રત તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીને મહત્વ આપી રહ્યા છે, તેઓના ર્માગદર્શન હેઠળ કૃષિ અને બાગાયત વિભાગ દ્વારા અનેક વિવિધ ખેતીલક્ષી યોજનાઓનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે.
જે મુજબ, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ કુદરત, વિજ્ઞાન, અધ્યાત્મ તેમજ અહિંસા આધારિત શાશ્વત કૃષિ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં ખેડૂતોએ રાસાયણિક ખાતર, છાણિયું ખાતર, જૈવિક ખાતર, અળસિયાનું ખાતર, તેમજ ઝેરી કિટનાશક, રાસાયણિક નિંદણનાશક દવાઓ, રાસાયણિક ફૂગનાશક દવાઓ નાખવાની નથી. ફક્ત એક દેશી ગાયની મદદથી આ કૃષિ કરી શકાય છે. જમીન પિયત કે બિનપિયત હોય, પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે.
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં પાક ઉત્પાદન રાસાયણિક તેમજ સજીવ ખેતી પદ્ધતિ કરતા વધારે થાય છે. આમ પાક ઉત્પાદન ઝેરમુક્ત, ઊંચી ગુણવત્તાવાળું, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. આ ગુણોને કારણે વપરાશકર્તા દ્વારા તેની માગ સારી હોવાના કારણે ભાવ સારો મળે છે.
રાસાયણિક તેમજ સજીવ ખેતીથી મનુષ્ય, કૃષિ, પશુ-પક્ષી, પાણી તેમજ પર્યાવરણનો વિનાશ થાય છે. જ્યારે પ્રાકૃતિક કૃષિથી આ બધાનો વિનાશ અટકે છે અને કુદરતી સંસાધનોની શાશ્વતતા વધે છે.
પ્રાકૃતિક કૃષિનું સૂત્ર છેઃ “ગામના પૈસા ગામમાં, શહેરના પૈસા ગામમાં.” આમ અનેકવિધ ફાયદાઓ જોતાં પ્રાકૃતિક કૃષિ અપનાવવી ખેડૂતો માટે હિતકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE