ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેને લઈને રાજ્યના 206 જળાશયોમાંથી 113 જળાશયો 100 ટકા ભરાયા છે. જ્યારે 43 જળાશયો 70થી 100 ટકા ભરાતાં હાઇ ઍલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત 18 ડેમ 50ટકાથી 70 ટકા ભરાતાં ઍલર્ટ અપાયું છે. 23 ડેમમાં 24થી 50 ટકા અને 9 ડેમમાં 25 ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું છે.
રાજ્યના 207 જળાશયોમાં 81 ટકાથી વધુ જળસંગ્રહ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,87,701 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 86 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,39,485 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 78.45 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં 81 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.
સરદાર સરોવર યોજનામાં 1.14 લાખ ક્યુસેક પાણીની આવક સામે 79 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઉકાઈમાં 48 હજાર ક્યુસેક પાણીની આવક સામે 16 હજારની જાવક, વણાકબોરી જળાશયમાં 21 હજાર ક્યુસેક પાણીની આવક સામે 21 હજારની જાવક અને કડાણા જળાશયમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક સામે 15 હજારની ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.
મધ્ય ગુજરાતના 17 જળાશયો 93 ટકા ભરાયા
સૌથી વધુ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 93 ટકા, કચ્છના 20 જળાશયોમાં 87 ટકા, સૌરાષ્ટ્રના 141માં 82 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 79 ટકા, જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 50 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 81 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ 207 જળાશયોમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો.