નવી દિલ્હી: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ખાતરી મળ્યા વિના 26 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત કરવાના નિર્ણય બાદ ઉઠેલા સવાલો પર શિક્ષણવિદ અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે પ્રથમ વખત ખુલાસો કર્યો છે.
વીડિયો સંદેશમાં વાંગચુકે જણાવ્યું કે હવે સમગ્ર મુદ્દો સંસદમાં ચર્ચા માટે જશે અને લોકશાહી પ્રક્રિયા દ્વારા તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે કે ન આપે, તે રાજકીય નિર્ણય છે, પરંતુ વિદ્યાર્થીઓના હિત સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ.
વાંગચુકે ભારપૂર્વક જણાવ્યું કે વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા વિદ્યાર્થીઓ સામે કોઈ FIR નોંધાય નહીં અને તેમના ભવિષ્ય પર કોઈ પ્રતિકૂળ અસર ન થાય, તે તેમની સૌથી મોટી ચિંતા હતી. આ કારણસર વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને ઉપવાસ સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તેમણે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય કોઈ સમાધાન નહીં, પરંતુ વિદ્યાર્થીઓના હિત અને તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. હવે સમગ્ર મુદ્દે સંસદમાં થનારી ચર્ચા અને સરકારના આગામી પગલાં પર સૌની નજર મંડાઈ છે.











