નિરાધાર ૧૧ દિકરીઓને ૧૫૫ થી વધુ વસ્તુ કરીયાવર રૂપે ભેટ આપવામાં આવી
યુવા સેના ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ પ્રધ્યુમનસિંહના જન્મદિન નિમીતે તા. ૮ ના રોજ સમાજની નિરાધાર અનાથ દિકરીઓને જાતિ-જ્ઞાતિના ભેદભાવ વિના ૧૧ દિકરીઓને પિતાતુલ્ય વાત્સલ્ય તેમજ ૧૫૫ થી વધુ વસ્તુ કરીયાવર રૂપે ભેટ આપી ૧૧ કન્યાઓને વિદાય આપવામાં આવી હતી. આવા અતિ મોંઘવારીના સમયમાં દિકરીઓને પરણાવવી ગરીબ પરિવારો માટે અતિ મુશ્કેલ અને કઠીન છે. આવા સમયમાં યુવા સેના ટ્રસ્ટ દ્વારા અનાથ દિકરીઓને દર વર્ષે સમુહલગ્નનું આયોજન કરવામા આવે છે. તેમજ દિકરીના માતા અથવા પિતા હયાત નથી તેવી દિકરીઓને લગ્ન કરી આપવામા આવે છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા તેમજ જગન્નાથ મંદિર ખોડીયાર ધામ નાના મૌવાના મહંત ત્યાગી મનમોહનદાસ તેમજ નકલંક ધામ દેવગામના મહંત અરજણભગત તેમજ નામી અનામી દાતાઓ હાજર રહેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટની મહિલા પાંખ તેમજ યુવા સેના ટ્રસ્ટના મેમ્બરોએ ખુબ જ જહેમત ઉઠાવેલ હતી. ટ્રસ્ટના પ્રમુખએ તમામનો આભાર વ્યકત કર્યો હતો અને ભવિષ્યમાં પણ બધાનો સાથ સહકાર મળતો રહેશે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.