સાહિત્ય સર્જન, ગીતગાન, સ્કેચ અને રંગોળી દ્વારા વિદ્યાર્થીઓએ આપી સર્જનાત્મક શ્રદ્ધાંજલિ
દાહોદ: દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુજરાતી વિભાગના ઉપક્રમે ગુજરાતી સાહિત્યના અગ્રણી કવિ ઉમાશંકર જોશીની 115મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન આચાર્ય ડૉ. બી.આર. બોદર અને વાઇસ પ્રિન્સિપાલ ડૉ. હરેશ કે. પંચાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી શરૂ થયેલા કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પ્રા. ડૉ. ધવલ જોશીએ કર્યું હતું. આચાર્ય ડૉ. બી.આર. બોદરે ઉમાશંકર જોશીના વ્યક્તિત્વ અને સાહિત્યમાંથી પ્રેરણા લઈને વિદ્યાર્થીઓને ઉત્તમ જીવનમૂલ્યો અપનાવવાનો સંદેશ આપ્યો હતો.
પ્રા. જી.જી. સંગાડાએ ઉમાશંકર જોશીના જીવનચરિત્રના અભ્યાસ પર ભાર મૂક્યો હતો, જ્યારે ડૉ. મુકેશપુરી સ્વામીએ તેમના સાહિત્યની આજના સમયમાં રહેલી પ્રાસંગિકતા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
વિદ્યાર્થીઓએ ઉમાશંકર જોશીના જીવન, સાહિત્ય, એકાંકીઓ અને વાર્તાઓનો આસ્વાદ રજૂ કર્યો હતો. સાથે જ તેમના લોકપ્રિય ગીતોનું ગાન, સ્કેચ અને રંગોળી દ્વારા સર્જનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કાર્યક્રમના આયોજનમાં ડૉ. નમ્રતાબેન મકવાણા, પ્રા. કુલદીપ ભાભોર અને ડૉ. રાહુલ સથવારા જોડાયા હતા. સંચાલન પ્રા. જયદીપ ચાવડાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. કમલેશ આર. ગાયકવાડે કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: માધવ મકવાણા, દાહોદ-લીમખેડા











