ચાર રાજ્યોમાંથી ઉમટ્યા આદિવાસીઓ; સામાજિક, સાંસ્કૃતિક અને પ્રાદેશિક હકોને લઈને ઉઠ્યો અવાજ
માનગઢ: આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્ર અને ઐતિહાસિક માનગઢ ધામ ખાતે યોજાયેલી **‘ભીલ પ્રદેશ સંદેશ યાત્રા’**માં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો જોડાયા હતા. યાત્રા દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓએ ‘ભીલ પ્રદેશ’ની રચનાની લાંબા સમયથી કરવામાં આવતી માંગને ફરી એકવાર રજૂ કરી હતી.
માનગઢ ધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને એકતાના સંદેશ સાથે વિશાળ રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમાજના આગેવાનોનું કહેવું હતું કે, અલગ ‘ભીલ પ્રદેશ’ની માંગ આદિવાસી વિસ્તારોના સામાજિક, આર્થિક અને વહીવટી વિકાસ સાથે જોડાયેલી છે. તેમણે જણાવ્યું કે આ મુદ્દે વર્ષોથી રજૂઆત કરવામાં આવી રહી છે અને હવે તેને વધુ વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે.
આ સમગ્ર સંદેશ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. ઉપસ્થિત લોકોએ પોતાના અધિકારો, ઓળખ અને વિકાસના મુદ્દાઓને લઈને એકતા દર્શાવી હતી.
આદિવાસી સમાજ માટે માનગઢ ધામ ઐતિહાસિક બલિદાન અને ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે. સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આ પવિત્ર ભૂમિ પરથી ઉઠેલો અવાજ દેશભરના આદિવાસી સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રિપોર્ટર: યાસીર ગુડાલા, ફતેપુરા











