જૂનાગઢ: ગિરનાર પર્વત પર બાળક પર જીવલેણ હુમલો કરીને જંગલમાં ખેંચી ગયેલી સિંહણને વન વિભાગે સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ પાંજરે પૂરી છે. સમગ્ર ઘટનાએ રાજ્યભરમાં ભારે ચકચાર મચાવી હતી, ત્યારબાદ વન વિભાગે વિશેષ ટીમો બનાવી સિંહણની સઘન શોધખોળ હાથ ધરી હતી.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, રેસ્ક્યુ દરમિયાન સિંહણની ઉલટીમાંથી માનવ શરીરના અંગો મળ્યા હોવાની માહિતી સામે આવી છે. મળેલા અવશેષોને વૈજ્ઞાનિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે જેથી ઘટનાની વધુ સ્પષ્ટતા થઈ શકે.
બાળક પર હુમલાની ઘટના બાદ ગિરનાર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ, ટ્રેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગે પાંજરા ગોઠવી તેમજ વિશેષ ટીમોની મદદથી સિંહણને સફળતાપૂર્વક કાબૂમાં લીધી હતી.
પકડાયેલી સિંહણને હાલ વધુ તબીબી તપાસ, વર્તણૂકનું નિરીક્ષણ અને જરૂરી દેખરેખ માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી છે. વન વિભાગ સમગ્ર ઘટનાની તમામ દિશામાં તપાસ કરી રહ્યું છે અને ગિરનાર વિસ્તારમાં યાત્રાળુઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે વધારાના પગલાં લેવામાં આવી રહ્યા છે.











