સુરત: સુરતના હજીરા વિસ્તારમાં ONGC નજીક L&T કંપનીની કર્મચારી બસ અકસ્માતનો ભોગ બનતા 29 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. રસ્તા પર ઉભેલા ટ્રક સાથે બસ પાછળથી જોરદાર અથડાતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો તેમજ રાહત ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. તમામ ઘાયલોને સારવાર માટે L&T હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. કોઈપણ કર્મચારીને ગંભીર ઈજા થઈ હોવાની માહિતી હાલ સુધી સામે આવી નથી અને તમામની સારવાર ચાલી રહી છે.
અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી. સાથે જ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ રસ્તા પર ઉભેલા ટ્રક સાથે બસ અથડાતા આ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.











