અયોધ્યા: શ્રી રામ મંદિરના દાનચોરી કેસમાં 25 દિવસની તપાસ બાદ પોલીસે મોટી કાર્યવાહી કરતાં મુખ્ય આરોપી રામશંકર યાદવ ઉર્ફે ટીનુ યાદવ સહિત કુલ 8 લોકોની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ મંદિરની દાન ગણતરી અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે આરોપીઓ સામે ચોરી, વિશ્વાસઘાત, ફોજદારી ષડયંત્ર અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી દાનની રકમ અને કિંમતી ચીજવસ્તુઓમાં ગેરરીતિ થતી હોવાનું બહાર આવ્યું છે. ટ્રસ્ટે અત્યાર સુધીમાં અંદાજે રૂ. 3 કરોડની રકમની વસૂલાત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલો સામે આવ્યા બાદ દેશભરમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી અને હવે પોલીસ અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા પણ તપાસી રહી છે. વધુ ધરપકડની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, સમગ્ર કેસનો અહેવાલ વડાપ્રધાન કાર્યાલય (PMO) સુધી પહોંચાડવામાં આવ્યો છે. તપાસ પૂર્ણ થયા બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની કામગીરી, જવાબદારી અને સંચાલન વ્યવસ્થાની સમીક્ષા કરીને જરૂરી ફેરફારો કરવામાં આવી શકે છે.
આ ઘટનાએ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા મંદિરના સંચાલન અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હવે તમામની નજર તપાસના અંતિમ પરિણામ અને આગળની કાર્યવાહી પર ટકેલી છે.











