અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ અને હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz)ને ટોલ-ફ્રી બનાવવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ તરત જ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવનો હવે અંત આવતો દેખાઈ રહ્યો છે. બન્ને દેશો વચ્ચે થયેલા આ મહત્વપૂર્ણ કરાર પર શુક્રવારે સ્વિટ્ઝર્લૅન્ડમાં ઔપચારિક હસ્તાક્ષર થવાની સંભાવના છે.
આ સમજૂતી હેઠળ વિશ્વના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંના એક એવા ‘હોર્મુઝ જળમાર્ગ’ને ફરીથી સંપૂર્ણ રીતે ખોલવાનો અને વેપારી જહાજોની અવરજવરને સામાન્ય બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારત માટે આ નિર્ણય કેમ છે સંજીવની સમાન? હોર્મુઝ જળમાર્ગ ફરીથી ખુલતા ભારત સહિત ઊર્જાની આયાત કરતા અનેક દેશોને મોટી રાહત મળશે.
-
આયાત પર નિર્ભરતા: ભારત પોતાની ઊર્જા જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે, જેમાં ખાડી દેશોમાંથી આવતા કાચા તેલ માટે હોર્મુઝ જળમાર્ગ મુખ્ય રૂટ છે.
-
શિપિંગ ખર્ચમાં ઘટાડો: વિશેષજ્ઞોના મતે, જળમાર્ગ ખુલવાથી કાચા તેલની સપ્લાયમાં રહેલી અનિશ્ચિતતા દૂર થશે અને જહાજોના પરિવહન ખર્ચ (શિપિંગ કોસ્ટ)માં મોટો ઘટાડો થશે.
-
મોંઘવારી પર લગામ: ક્રૂડ સસ્તું થવાથી દેશમાં ઈંધણ આધારિત મોંઘવારી પર નિયંત્રણ લાવી શકાશે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં કડાકો ટ્રમ્પની જાહેરાત બાદ બ્રેન્ટ ક્રૂડનો ભાવ લગભગ 4 ટકા ઘટીને પ્રતિ બેરલ 84 ડોલરની આસપાસ પહોંચી ગયો છે. અગાઉ યુદ્ધની સ્થિતિ અને સપ્લાય ચેઈનમાં વિક્ષેપના કારણે તેલના ભાવ 70-72 ડોલરથી ઉછળીને સીધા 119 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા હતા.
ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ પર શું અસર થઈ હતી? ભૂતકાળમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ ઉછાળાના કારણે પેટ્રોલ અને ડીઝલના ઉત્પાદન ખર્ચમાં જંગી વધારો થયો હતો.
-
ભાવ વધારો: શરૂઆતમાં સરકારે રિટેલ ભાવ સ્થિર રાખ્યા હતા, પરંતુ કેટલીક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર આશરે ₹7.50 નો વધારો ઝીંકવામાં આવ્યો હતો.
-
ગેસના ભાવ: સીએનજી (CNG) ના ભાવમાં પ્રતિ કિલો ₹6 નો અને ઘરગથ્થુ એલપીજી (LPG) સિલિન્ડર પર બે તબક્કામાં કુલ ₹89 નો વધારો કરાયો હતો.
તેલ કંપનીઓ હજુ પણ ખોટમાં ક્રૂડના ભાવ ઘટ્યા હોવા છતાં, ઉદ્યોગના સૂત્રોનું કહેવું છે કે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ હજુ પણ દબાણ હેઠળ છે. રિટેલ માર્કેટમાં ઉત્પાદન ખર્ચ કરતાં ઓછી કિંમતે ઇંધણ વેચવાને કારણે આ કંપનીઓને દરરોજ અંદાજે ₹650 કરોડનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. જોકે, વૈશ્વિક ભાવ ઘટવાથી આગામી સમયમાં તેમની બેલેન્સ શીટ સુધરવાની આશા છે.
Post Views: 0











