બોડેલી કેનાલ નજીક મોટી કાર્યવાહી: ગૌરક્ષકો અને AIMIMના આગેવાને સંયુક્ત રીતે ગૌવંશ ભરેલી શંકાસ્પદ ગાડી ઝડપી પાડી, 7 ગાયોનો આબાદ બચાવ

બોડેલી કેનાલ નજીકથી ગૌરક્ષકો અને AIMIM ના અગ્રણી શાહિદ મન્સૂરી દ્વારા સંયુક્ત રીતે સમયસૂચકતા વાપરીને ગૌવંશ ભરેલી એક શંકાસ્પદ પિકઅપ ગાડીને ઝડપી પાડવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. આ ગાડીમાં ક્રૂરતાપૂર્વક ચપોચપ રીતે બાંધેલી હાલતમાં કુલ 7 જેટલા ગૌવંશને ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા.

કતલખાને લઈ જવાતી હોવાની આશંકા: જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ

સ્થાનિક ગૌરક્ષકો અને શાહિદ મન્સૂરીના જણાવ્યા અનુસાર, આ ગૌવંશને ગેરકાયદેસર રીતે કતલખાને ધકેલવાના ઈરાદે અથવા તો મહારાષ્ટ્ર તરફ ગૌહત્યા માટે લઈ જવામાં આવી રહ્યો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. જેને પગલે જાગૃતતા દાખવીને આ આખી પિકઅપ ગાડીને સમયસર આંતરી લેવામાં આવી હતી અને મૂંગા પશુઓને ક્રૂરતાના ચંગુલમાંથી મુક્ત કરાવાયા હતા.

આ ઘટનાને પગલે સમગ્ર પંથકના જીવદયાપ્રેમીઓ, ગૌભક્તો અને સ્થાનિક આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોમાં આ બાબતને લઈને તીવ્ર ચર્ચા જાગી છે, તેમજ આ પ્રકારે પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરીને કાયદો હાથમાં લેતા અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.

રીપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર

Leave a Comment

READ MORE

READ MORE