વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં સોનાની ખરીદી ઘટાડવા, વિદેશ પ્રવાસ મર્યાદિત કરવા અને ઇંધણ બચાવવા કરાયેલી અપીલ હવે માત્ર સામાન્ય જનજાગૃતિ અભિયાન નહીં પરંતુ ભારતની અર્થવ્યવસ્થા સામે ઉભા થતા ગંભીર દબાણની ચેતવણી તરીકે જોવામાં આવી રહી છે.
10 મેના રોજ સિકંદરાબાદમાં જાહેર સભાને સંબોધિત કરતાં વડાપ્રધાને દેશવાસીઓને એક વર્ષ સુધી સોનાની ખરીદી મુલતવી રાખવા વિનંતી કરી હતી. આ સાથે તેમણે બિનજરૂરી વિદેશ યાત્રા ઘટાડવા અને ઇંધણ બચાવવા પણ અપીલ કરી હતી. આ નિવેદન પાછળનું કારણ પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધજન્ય તણાવ અને તેના ભારતની વિદેશી હૂંડિયામણ સ્થિતિ પર પડતા પ્રભાવ સાથે જોડાયેલું માનવામાં આવે છે.
અર્થશાસ્ત્રી ડૉ. Ashwani Mahajan અનુસાર, ભારત માટે સૌથી મોટી ચિંતા માત્ર તેલ નહીં પરંતુ સોનાની વધતી આયાત છે. 2025-26 દરમિયાન ભારતે અંદાજે 72 અબજ ડોલરનું સોનું આયાત કર્યું હોવાનું જણાવાય છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંકડો ગણાય છે. તેમના કહેવા મુજબ દુનિયાના અન્ય કોઈ મોટા દેશમાં સોનાની આયાત પર એટલો ખર્ચ થતો નથી.
ડૉ. મહાજને જણાવ્યું કે, “આ મોદીનો રૂપિયો નથી, આ ભારતનો રૂપિયો છે. જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે તેની કિંમત દરેક ભારતીય ચૂકવે છે.” તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનની અપીલ ખાસ કરીને એવા લોકો માટે ચેતવણી સમાન છે. જેઓ ઘરેણાં માટે નહીં પરંતુ રોકાણ અને સટ્ટાકીય લાભ માટે મોટા પ્રમાણમાં સોનું ખરીદી રહ્યા છે.
27 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન વિરુદ્ધ શરૂ કરાયેલા સૈન્ય અભિયાન બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઉભી થયેલી અસ્થિરતાના કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર પણ અસર જોવા મળી રહી છે. પરિણામે ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું કહેવાય છે. માર્ચની શરૂઆતમાં આશરે 709 અબજ ડોલર રહેલા ભંડારમાંથી બે મહિનામાં લગભગ 38 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હોવાનું આર્થિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
સાથે સાથે, ડોલર સામે રૂપિયો પણ દબાણ હેઠળ આવી 95.63 ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો હોવાનું જણાવાય છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) દ્વારા મોટા પ્રમાણમાં નાણાં ઉપાડાતા બજારમાં અનિશ્ચિતતા વધી છે.
ડૉ. મહાજનનું માનવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારોમાંથી ભારે નફો કમાવ્યો હતો, ખાસ કરીને ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગ દ્વારા. પરંતુ તાજેતરમાં નિયમનકારી કડકાઈ વધતા અને હાઈ-ફ્રિક્વન્સી ટ્રેડિંગ પર નિયંત્રણ લાદાતા તેમનો નફો ઘટ્યો છે, જેના કારણે તેઓ ભારતીય બજારમાંથી બહાર નીકળી રહ્યા છે.
તેમણે કહ્યું કે, “તેઓ ભારત નબળું હોવાથી બહાર નથી જઈ રહ્યા, પરંતુ સરળ નફાનો સમય હવે પૂરો થઈ ગયો છે.”
આ દરમિયાન Swadeshi Jagran Manch એ પણ વડાપ્રધાનની અપીલને સમર્થન આપ્યું છે. સંગઠને જણાવ્યું કે આયાતી તેલ પરની નિર્ભરતા ઘટાડવી, ઇલેક્ટ્રિક વાહનો અને સ્થાનિક સ્વચ્છ ઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપવું હવે ભારત માટે આર્થિક રીતે અનિવાર્ય બની ગયું છે.
અર્થશાસ્ત્રીઓ માને છે કે જો ગલ્ફ વિસ્તારમાં તણાવ વધુ ઊંડો બનશે તો ભારત માટે આયાત ખર્ચ, મોંઘવારી અને વિદેશી વિનિમય દબાણ વધુ ગંભીર બની શકે છે. સરકાર હાલ તેલના વધતા ભાવનો ભાર ગ્રાહકો સુધી ન પહોંચે તે માટે પ્રયાસ કરી રહી છે, પરંતુ સ્થિતિ લાંબા ગાળે પડકારજનક બની શકે છે.
Post Views: 36










