રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સુરેન્દ્રનગરમાં ‘પ્રમુખજન ગોષ્ઠી’ યોજાઈ: શતાબ્દી વર્ષ નિમિત્તે રાષ્ટ્ર નિર્માણ અને ‘પંચ પરિવર્તન’ પર મંથન

સુરસાગર ડેરીના ‘ઠાકરધણી’ ભવન ખાતે યોજાયેલા ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના 70 જેટલા અગ્રણી નાગરિકોની પ્રેરક ઉપસ્થિતિ

ઉન્નત રાષ્ટ્ર માટે સમાજના પ્રબુદ્ધ નાગરિકોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ: પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ. જયંતિભાઈ ભાડેશીયા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) – સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા વઢવાણ જી.આઈ.ડી.સી. સ્થિત સૂરસાગર ડેરીના ‘ઠાકરધણી’ ભવન ખાતે એક ગરિમાપૂર્ણ ‘પ્રમુખજન ગોષ્ઠી’નું આયોજન કરવામાં આવ્યું હતું. સંઘના શતાબ્દી વર્ષ અંતર્ગત યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં રાષ્ટ્ર નિર્માણ, સામાજિક ઉત્થાન અને સમકાલીન વિષયો પર વિસ્તારપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

સમાજની પ્રગતિ માટે ‘પંચ પરિવર્તન’ અનિવાર્ય

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રા.સ્વ.સંઘના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક માનનીય ડૉ. જયંતિભાઈ ભાડેશીયાએ પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સંઘે દેશભક્તિ અને નિઃસ્વાર્થ સેવાના 100 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમણે વર્તમાન સમયમાં સમાજની સર્વાંગી પ્રગતિ માટે ‘પંચ પરિવર્તન’ પર વિશેષ ભાર મૂક્યો હતો, જેમાં:

સામાજિક સમરસતા

પર્યાવરણ સંરક્ષણ

કુટુંબ પ્રબોધન

સ્વદેશી આચરણ

નાગરિક કર્તવ્ય

તેમણે ઉમેર્યું હતું કે, એક ઉન્નત અને સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે સમાજના પ્રમુખજનો અને પ્રબુદ્ધ નાગરિકોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.

સુંદર વૈચારિક આદાન-પ્રદાન અને પ્રશ્નોત્તરી

આ પ્રેરણાદાયી સંવાદ અને ગોષ્ઠીમાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ સુરેન્દ્રનગર શહેરમાંથી અલગ-અલગ ક્ષેત્રના કુલ 70 જેટલા સમાજના પ્રમુખ અને પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ સંઘના ૨૨ જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના દ્વિતીય ચરણમાં ઉપસ્થિત અગ્રણીઓ અને વક્તાશ્રી વચ્ચે પ્રશ્નોત્તરીના માધ્યમથી ખૂબ જ સુંદર વૈચારિક આદાન-પ્રદાન થયું હતું. જેમાં હાજર રહેલા પ્રમુખજનોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને રાષ્ટ્રકાર્યમાં પોતાની સક્રિય ભૂમિકા ભજવવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના ગાન સાથે આ ગરિમાપૂર્ણ ગોષ્ઠીનું હર્ષોલ્લાસ સાથે સમાપન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE