વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે વરુથિની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે..વર્ષ 2026માં 13 એપ્રિલના રોજ વરુથિની એકાદશીનું વ્રત કરવામાં આવશે.આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવાથી અને વ્રત રાખવાથી ભક્તોને 10 હજાર વર્ષ સુધી તપ કરવા જેટલું શુભ ફળ પ્રાપ્ત થાય છે.જોકે, વરુથિની એકાદશીનું વ્રત ત્યારે જ સફળ ગણાય છે.જ્યારે વ્રતની પૂર્ણાહુતિ સમયે કથાનું પઠન કે શ્રવણ કરવામાં આવે.આજે આપણે વરુથિની એકાદશી સાથે જોડાયેલી રાજા માંધાતાની પૌરાણિક કથા વિશે જાણીશું.
વરુથિની એકાદશી વ્રત કથા (Varuthini Ekadashi Vrat Katha)
ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલી કથા અનુસાર, પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માંધાતા નામના એક રાજા રાજ્ય કરતા હતા.રાજા માંધાતા અત્યંત ધાર્મિક પ્રકૃતિના હતા અને પોતાનો મોટાભાગનો સમય જપ-તપ અને ભક્તિમાં વિતાવતા હતા.તેઓ પોતાની પ્રજા પ્રત્યે પણ ખૂબ જ દયાળુ અને નમ્ર હતા.
એકવાર રાજા જંગલમાં તપસ્યામાં લીન હતા…તે સમયે એક રીંછે અચાનક તેમના પર હુમલો કર્યો.રીંછે રાજાનો પગ પોતાના જડબામાં દબાવી દીધો અને તેમને ખેંચીને જંગલ તરફ લઈ જવા લાગ્યું.રાજાએ ગભરાવાને બદલે ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું.પોતાના પ્રિય ભક્ત માંધાતાની આર્તપુકાર સાંભળીને ભગવાન વિષ્ણુ તત્કાલ ત્યાં પ્રગટ થયા. ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી રીંછનો વધ કર્યો અને રાજાને તેના પંજામાંથી મુક્ત કરાવ્યા.જોકે, ત્યાં સુધીમાં રીંછ રાજાના પગને ગંભીર રીતે ઈજા પહોંચાડી ચૂક્યું હતું..જેના કારણે રાજા અત્યંત દુઃખી હતા.
રાજાને વ્યથિત જોઈને ભગવાન વિષ્ણુએ કહ્યું કે, “હે રાજન! આ રીંછે તારો પગ કાપ્યો તેનું મુખ્ય કારણ તારા પાછલા જન્મના પાપ છે..જેની સજા તને આ જન્મમાં મળી છે.”ત્યારબાદ રાજાએ વિનંતી કરતા પૂછ્યું કે કયા ઉપાયથી તેઓ ફરી સ્વસ્થ થઈ શકે છે? ત્યારે ભગવાન વિષ્ણુએ માર્ગદર્શન આપતા કહ્યું કે, “હે રાજન! તું મથુરા જઈને વરુથિની એકાદશીનું વ્રત કર અને મારા વરાહ અવતારની વિધિ-વિધાનથી પૂજા કર.આ વ્રતના પ્રભાવથી તારું ક્ષતિગ્રસ્ત અંગ ફરીથી સાજું થઈ જશે.”
ભગવાન વિષ્ણુની આજ્ઞા માનીને રાજા માંધાતાએ પૂર્ણ શ્રદ્ધા સાથે વરુથિની એકાદશીનું વ્રત કર્યું.આ વ્રતના પુણ્ય પ્રતાપે તેમને પોતાનો ખોવાયેલો પગ પાછો મળ્યો અને તેઓ પૂર્ણપણે આરોગ્યપ્રદ બન્યા.ધાર્મિક માન્યતા અનુસાર, જે પણ વ્યક્તિ વરુથિની એકાદશીનું વ્રત કરે છે અને આ કથાનું પઠન કરે છે. તેને જીવનમાં સુખ-સમૃદ્ધિ, આરોગ્ય અને 10 હજાર વર્ષના તપ સમાન ફળની પ્રાપ્તિ થાય છે.
ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે…તેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી.
Post Views: 37











