બિહારના મંદિરમાં મચી નાસભાગ: 8 લોકોના મોત, નાલંદાના દીપનગર વિસ્તારની ઘટના

બિહારના નાલંદા જિલ્લામાં એક મંદિરમાં નાસભાગ મચી ગઈ.આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા. અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા.પોલીસ અને વહીવટીતંત્રની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે અને મંદિર પરિસરને ખાલી કરાવવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ નાસભાગ દીપનગર વિસ્તારમાં આવેલા શીતળા માતા મંદિરમાં મેળા અને પૂજા-દર્શન દરમિયાન મચી હતી.


ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે ઉમટી હતી ભીડ

મળતી માહિતી મુજબ, આજે ચૈત્ર મહિનાનો છેલ્લો મંગળવાર છે. આ પ્રસંગે શીતળા માતા મંદિરમાં આયોજિત મેળામાં અને દર્શન-પૂજા માટે લોકોની ભારે ભીડ ઉમટી હતી. પરંતુ આટલી મોટી ભીડને સંભાળવા માટેની વ્યવસ્થા નહિવત હતી. ન તો મંદિર પ્રશાસને લાઈનમાં દર્શન કરાવવા માટે કોઈ વ્યવસ્થા કરી હતી.ન તો પોલીસ સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત હતો. જેનું પરિણામ આ ભયાનક નાસભાગના રૂપમાં સામે આવ્યું છે. શ્રદ્ધાળુઓ દર્શન કરવાની ઉતાવળમાં કતાર તોડીને આગળ વધવા લાગ્યા હતા.

ઝડપથી દર્શન કરવાની લ્હાયમાં મચી ધક્કામુક્કી

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વહેલા દર્શન કરવાની હોડમાં લોકો વચ્ચે દલીલો થઈ હતી. ત્યારબાદ ધક્કામુક્કી શરૂ થઈ અને લોકો એકબીજા પર પડવા લાગ્યા. જોતજોતામાં નાસભાગ મચી ગઈ હતી. ધક્કો લાગવાને કારણે લોકો એકબીજા પર કચડાયા હતા. નાસભાગના સમાચાર મળતા જ પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આમ-તેમ ભાગી રહેલા લોકોને નિયંત્રિત કરીને મંદિર પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.પરંતુ ત્યાં સુધીમાં 8 લોકો દમ તોડી ચૂક્યા હતા.

Leave a Comment

READ MORE

READ MORE