આઈપીએલ (IPL) 2026ની સાથે જ પાકિસ્તાન સુપર લીગ (PSL) ની પણ શરૂઆત થઈ રહી છે. એક તરફ જ્યાં આઈપીએલ ફ્રેન્ચાઈઝી લીગ શરૂ થતા પહેલા ફેન્સ સાથે મોટા કાર્યક્રમો કરી રહી છે. તો બીજી તરફ પાકિસ્તાન સુપર લીગ ફેન્સ વગર માત્ર 2 શહેરોમાં રમાવાની છે. આ લીગ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. હવે પાકિસ્તાનના એક આર્મ્ડ ગ્રુપે ડેવિડ વોર્નર સહિત તમામ વિદેશી ખેલાડીઓને ધમકી આપી છે કે, જો તેઓ આ સિઝનમાં રમશે, તો મોટો હુમલો થઈ શકે છે.
પાકિસ્તાન સુપર લીગ પર મંડરાઈ રહ્યો છે ખતરો
વર્તમાન સમયમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે જંગ ચાલી રહી છે. જ્યાં પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હુમલો કરીને 400 લોકોને મારી નાખ્યા છે, ત્યારથી અફઘાનિસ્તાન બદલો લેવા માંગે છે. આ ડરને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે PSL 2026 ને ફેન્સ વગર આયોજિત કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, હવે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. હવે પાકિસ્તાની આર્મ્ડ ગ્રુપ ‘તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ ના ‘જમાત-ઉલ-અહરાર’ એ આ લીગમાં ભાગ લઈ રહેલા વિદેશી ખેલાડીઓને પોતાના નામ પાછા ખેંચી લેવાની સલાહ આપી છે. હકીકતમાં, આ ગ્રુપ પાકિસ્તાન સુપર લીગ દરમિયાન હુમલો કરવાનું આયોજન કરી રહ્યું છે. એવામાં તેઓ નથી ઈચ્છતા કે વિદેશી ખેલાડીઓ માર્યા જાય, જેનાથી આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ગાજે.
જમાત-ઉલ-અહરારના કમાન્ડરે આપી ધમકી
પાકિસ્તાની આર્મ્ડ ગ્રુપ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના જમાત-ઉલ-અહરારના કમાન્ડરે ‘ધ સન્ડે ગાર્ડિયન’ સાથે વાત કરતા કહ્યું કે, ‘અમે સંબંધિત ક્રિકેટ બોર્ડને સલાહ આપવા માંગીએ છીએ કે તેઓ પોતાના ખેલાડીઓને પાકિસ્તાન ન મોકલે. જો તેમની સાથે કંઈપણ થશે. તો તે અમારી જવાબદારી રહેશે નહીં. અમે અગાઉથી જ અમારી ચેતવણી જારી કરી દીધી છે. અમે અમારી ક્ષમતા મુજબ તમામ સંભવિત પ્રયાસો કરીશું. પરંતુ અમે મેચ થવા દઈશું નહીં..અમે એ સુનિશ્ચિત કરવાના પૂરા પ્રયાસ કરીશું કે ટૂર્નામેન્ટમાં અવરોધ આવે અને ખેલાડીઓ મેદાનમાં ન ઉતરે.’
Post Views: 0











