Parliament Winter Session : સંસદના શિયાળુ સત્રમાં આગામી બે દિવસ ખૂબ મહત્વના રહેવાના છે, 13 અને 14 ડિસેમ્બરે બંધારણ પર થશે ચર્ચા
Parliament Winter Session : સંસદમાં હાલ શિયાળુ સત્ર ચાલુ છે. આગામી બે દિવસ સંસદ માટે ખૂબ મહત્વના રહેવાના છે. કારણ કે 13 અને 14 ડિસેમ્બરે બંધારણ પર ચર્ચા થવાની છે. બપોરે 12 વાગ્યે બંધારણ પર ચર્ચા શરૂ થશે. તેની શરૂઆત રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરશે. પ્રિયંકા ગાંધી કોંગ્રેસ તરફથી પ્રથમ સ્પીકર હશે. લોકસભામાં આ તેમનું પ્રથમ ભાષણ હશે.
સંસદના શિયાળુ સત્રનો આજે 14મો દિવસ છે. લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. કાર્યવાહી શરૂ થતાની સાથે જ સંસદ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
રાજ્યસભામાં જોરદાર હોબાળો
રાજ્યસભાની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે. રાજ્યસભામાં આજે પણ ભારે હોબાળો ચાલુ છે. આ દરમિયાન રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિપક્ષ પર નારાજ થઈ ગયા છે. તેમણે ગુસ્સામાં કહ્યું કે, મેં તમને બહુ સહન કર્યા છે, પણ તમને ખેડૂતનો દીકરો સહન નથી થતો. તેના પર કોંગ્રેસના સાંસદ અને વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, જો તમે ખેડૂતના પુત્ર છો તો હું પણ મજૂરનો પુત્ર છું. ભારે હોબાળા બાદ રાજ્યસભાની કાર્યવાહી સોમવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
સંસદના આ સત્રમાં કોંગ્રેસ સહિતના વિપક્ષોએ અદાણીનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. અદાણી મુદ્દે વિપક્ષ સતત સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. દરમિયાન શુક્રવારથી લોકસભામાં બંધારણ પર ચર્ચા શરૂ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો વિપક્ષ બંધારણ પર ચર્ચા દરમિયાન અદાણીનો મુદ્દો ઉઠાવશે તો ભાજપ તેનો જોરદાર વિરોધ કરશે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે બંધારણ પરની ચર્ચાને અદાણી સાથે કોઈ લેવાદેવા નથી. જો વિપક્ષ આ મુદ્દો ઉઠાવશે તો તેનો વિરોધ કરવામાં આવશે.
વન નેશન-વન ઈલેક્શન પર અખિલેશે શું કહ્યું?
સમાજવાદી પાર્ટીના વડા અને સાંસદ અખિલેશ યાદવે એક દેશ, એક ચૂંટણીને ભાજપની યુક્તિ ગણાવી છે. તેમણે કહ્યું કે, એક દેશ, એક ચૂંટણી ભાજપની યુક્તિ છે જેથી તે ચૂંટણી જીતી શકે. તેમણે કહ્યું કે, બંધારણને સુરક્ષિત રાખવું દરેકની જવાબદારી છે.











