ખંભાળિયાના સી ફૂડના વેપારી જામનગરના બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયા, 10 લાખ સામે 16 લાખ વસૂલીને આપી ધમકી

Jamnagar : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકના સી.ફૂડના એક વેપારીએ પોતાના ધંધાના વિકાસ માટે જામનગરના બે વ્યાજખોરો પાસેથી દસ લાખ રૂપિયા લીધા બાદ તેના 16 લાખ ચૂકવી દીધા છતાં વધુ વ્યાજની માંગણી કરી ધાકધમકી અપાતાં આ મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને બંને વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ બનાવની વિગત એવી છે, કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામમાં રહેતા અને સી.ફૂડનું વેચાણ કરતા યુનુશ ઈબ્રાહીમભાઈ ગજ્જણ નામના વેપારી, કે જેઓએ પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલી લેવા અંગે જામનગરના નવાગામ ઘેડમાં રહેતા અનિરુદ્ધસિંહ કિરીટસિંહ જાડેજા તેમજ પ્રદિપસિંહ તખુભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવાનને પોતાના ધંધાના વિકાસ અર્થે નાણાંની જરૂરિયાત ઊભી થતાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાની મદદથી પ્રદિપસિંહ જાડેજા પાસેથી દસ લાખ રૂપિયા લીધા હતા, અને તેનું કુલ વ્યાજ સહિતનું 12 લાખ રૂપિયાનું ચૂકવણું કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ તે મુજબ અંદાજે 16 લાખ જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં બંને આરોપીઓ દ્વારા હજુ એક લાખ રૂપિયા આપવા પડશે તેવી માંગણી કરી હતી.

જાનથી મારી નાખવાની ધમકી આપતાં આખરે મામલા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બંને વ્યાજખોરો સામે ગેરકાયદે નાણા ધીરધાર કરવા અંગે તેમજ ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી હતી.. જેના અનુસંધાને પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE