દેવભૂમિ દ્વારકા-જામનગર- કચ્છ, વડોદરા અને રાજકોટમાં પૂર
જેવી સ્થિતિ, જનજીવન ઠપ: નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા 17 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, બે હજાર લોકોને બચાવાયા
ગુજરાતને સતત ચોથા દિવસે મેઘરાજાએ ધમરોલી નાખ્યું છે અને આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના વધુ 238 તાલુકામાં સામાન્ય જાગતા થી માંડી 12 ઇંચ સુધી વરસાદ ખાબકી જતા સૌરાષ્ટ્ર કચ્છના જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ વડોદરા અને રાજકોટ-પોરબંદર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાયેલ છે.
છેલ્લા 36 કલાકનો વરસાદનો હિસાબ કરવામાં આવે તો રાજ્યના ખંભાળિયા, જામનગર, જામજોધપુર, લાલપુર ,પોરબંદર, રાણાવાવ, લોધીકા, રાજકોટ સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ નોંધાયેલ છે જેના કારણે નીચાણ વાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી મોટા પ્રમાણમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે
એનડીઆરએફ અને એસડીઆરએફ ઉપરાંત સેના, ભારતીય વાયુસેના અને કોસ્ટ ગાર્ડ વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 17,800 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને 2,000 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, અધિકારીઓ કહ્યું. રાજ્યમાં 140 જળાશયો અને ડેમ અને 24 નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. વરસાદના કારણે માર્ગો અને રેલ્વે લાઈનો પાણીમાં ડૂબી જવાથી વાહન વ્યવહાર અને ટ્રેનની અવરજવર પણ ખોરવાઈ ગઈ છે. 206 ડેમમાંથી 122 ડેમના પાણીના સ્તરમાં તીવ્ર વધારો થવાને કારણે હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગે જણાવ્યું હતું કે 48 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે, 14 આંશિક રીતે રદ કરવામાં આવી છે અને છને વચ્ચેથી રોકી દેવામાં આવી છે. અન્ય 23 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હતી.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયેલા વરસાદ ઉપર નજર કરવામાં આવે તો સવારે છ વાગ્યા સુધીમાં ભાણવડમાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે ગુજરાત ઉપર સર્જાયેલું ડિપ્રેશન ધીરે ધીરે કચ્છ તરફ સ્થિર થયું હોય તેમ સવાર સુધીમાં કચ્છના અબડાસામાં 11 ઇંચ,લખપતમાં 9 ઇંચ, નખત્રાણામાં 8,માંડવીમાં 7.5 ઇંચ તથા અંજારમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.
જ્યારે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાને પણ સતત ધમરોડવાનું મેઘરાજાએ ચાલુ રાખ્યું હોય તેમ આજે સવાર સુધીમાં કલ્યાણપુરમાં વધુ 10:30 ઇંચ, ખંભાળિયામાં વધુ 9 ઇંચ, જોધપુરમાં 8:30 ઇંચ, દેવભૂમિ દ્વારકામાં 9:45 ઇંચ,કાલાવડમાં 7 ઇંચ, લાલપુરમાં સાડા છ ઇંચ તથા જામનગરમાં વધુ સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.
આ સિવાય લોધીકા તેમજ ધોરાજીમાં વધુ છ ઇંચ કુતિયાણા અને જામકંડોરણામાં સાડા પાંચ ઈંચ, રાણાવાવમાં પણ વધુ પાંચ ઇંચ તેમજ પોરબંદરમાં સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજકોટ જિલ્લાને પણ મેઘરાજાએ ધમરોડવાનું સતત ચાલુ રાખ્યું છે અને આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજકોટમાં વધુ સવા ચાર ઇંચ તેમજ ધોરાજીમાં છ ઇંચ, જેતપુરમાં ચાર ઇંચ, ઉપલેટા અને ગોંડલમાં માં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે કોટડાસાંગાણીમાં પણ અઢી ઇંચ વરસાદ નોંધાયેલ છે.











