પ્રમોશન મેળવનાર 234 પીઆઈને પોસ્ટિંગ અપાયા

ગૃહવિભાગ દ્વારા ગુજરાતના 233 પીએસઆઈને 21 દિવસ પૂર્વે પીઆઈ તરીકે બઢતી અપાયા બાદ આ તમામ પીઆઈને અલગ અલગ શહેર જિલ્લામાં પોસ્ટીંગ આપવામાં આવ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લાના 18 ફોજદારને પીઆઈ તરીકે પ્રમોશન મળ્યા બાદ હવે તેમને અલગ અલગ શહેર જિલ્લામાં મુકવામાં આવ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લાના પીઆઈ તરીકેના પોસ્ટીંગમાં જિલ્લાના 11 અને રાજકોટ શહેરના 7 પીઆઈની બદલી કરવામાં આવી છે અને તેમને નવા સ્થળે પોસ્ટીંગ અપાયા છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 9 અને શહેરમાં 3 નવા પીઆઈની નિમણૂંક કરવામાં આવી છે.

રાજ્ય પોલીસ વડા દ્વારા ગત 2 ઓગસ્ટનાં રોજ ગુજરાતના 233 પીએસઆઈ ને પીઆઈ તરીકે બઢતી આપવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના કુલ 18 પીએસઆઈ ને પીઆઈ તરીકેનું પ્રમોશન મળ્યું હતું. બઢતી મળ્યા બાદ 21 દિવસ પછી આ નવ નવા પ્રમોશન મેળવનાર પીઆઈને નવી જગ્યાએ પોસ્ટીંગ અપાયા છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં ફરજ બજાવતાં બઢતી મેળવનાર પીઆઈની અલગ અલગ જગ્યાએ બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ ગ્રામ્યના એમ.એચ.ઝાલા-અરવલ્લી, કે.એ.ગોહિલ-સુરત સિટી, આર.કે.ગોહિલ-ખેડા, વી.પી.કનારા-દાહોદ, એસ.જે.રાણા-દાહોદ, એસ.એમ.રાદડિયા-દાહોદ, ડી.જી.બડવા-મહેસાણા, જે.એમ.ઝાલા-કચ્છ પૂર્વ ગાંધીધામ, આર.એચ.જારીયા-બનાસકાંઠા, એચ.બી.ધાંધલીયા-બનાસકાંઠા અને વી.કે.કોઠીયા-દ્વારકામાં પોસ્ટીંગ અપાયું છે. જ્યારે રાજકોટ સિટીના પી.એચ.નાઈ-આણંદ, પી.એલ.ધામા-ભાવનગર, એ.જે.પરમાર-કચ્છ પૂર્વ ગાંધીધામ, બી.વી.ઝાલા-દાહોદ, એ.એ.ખોખર-જામનગર, એફ.બી.ગંગાનીયા-જૂનાગઢ, એસ.ઓ.જી.ના ડી.સી.સાકરીયાને-સાબરકાંઠા પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં નવા મુકાયેલા પીઆઈમાં જિલ્લામાં પંચમહાલથી એમ.જી.ઠાકોર, ભરૂચથી બી.આર.પટેલ, જીઈબી વડોદરાથી એલ.જી.નકુમ, કચ્છ પૂર્વ ગાંધીધામથી આર.બી.રાણા, મહેસાણાથી જે.પી.રાવ, છોટાઉદેપુરથી વી.આર.ડામોર, અમરેલીથી ડી.બી.મજેઠીયા, વડોદરા સિટીથી એસ.એન.પરમાર અને વડોદરા ગ્રામ્યથી એમ.જી.ચૌહાણને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ સિટીમાં ત્રણ નવા પીઆઈ મુકાયા છે. જેમાં દાહોદથી એમ.એલ.ડામોર, ભરૂચથી એચ.એન.પટેલ અને ખેડાથી એમ.એચ.ભાટીને રાજકોટ મુકવામાં આવ્યા છે.

બઢતી મેળવનાર પીઆઈના પોસ્ટિંગમાં પરિપત્રનો અમલ

ગૃહ વિભાગ દ્વારા 20 દિવસ પૂર્વે પોલીસની બદલીના નવા નિયમનો એક પરિપત્ર વાયરલ થયો હતો. જે પરિપત્રમાં નવા પોસ્ટીંગ માટે પોલીસના નવા નિયમનો અમલ કરવાની જાહેરાત હતી જેમાં કોઈપણ પીઆઈ કે પીએસઆઈ જે રેન્જમાં સતત પાંચ વર્ષથી ફરજ બજાવતાં હોય તેવા પીઆઈ-પીએસઆઈની રેન્જ કે કમિશ્નર રેટથી નજીક આવેલા જિલ્લા કે રેન્જમાં બદલી ન કરવાની સુચના હતી. જો કે આ મામલે રાજકીય દબાણ આવતાં 20 દિવસ બાદ ક્રાઈમ કોન્ફરન્સમાં ડી.જી.એ ફેરવી તોડી આવો કોઈ પરિપત્ર જ નહીં હોવાનું જાહેર કર્યુ હતું. છતાં ગઈકાલે સાંજે જે 234 પીઆઈને પ્રમોશન આપવામાં આવ્યા છે તેમાં પરિપત્રનો અમલ થયો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કારણ કે સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરમાં ફરજ બજાવનાર અને બઢતી મેળવનાર મોટાભાગના પીઆઈને સૌરાષ્ટ્રમાંથી બહાર બદલી કરી દેવામાં આવી છે અને પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા અને સુરત પંથકમાં મુકવામાં આવતાં આ પરિપત્રનો અમલ થયાની પોલીસ વિભાગમાં ચર્ચાઓ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE