રસ્તાના વિસ્તૃતિકરણ, મજબુતીકરણ માટે 5017 કરોડની ફાળવણીની જાહેરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતના નિર્માણ માટેની વડાપ્રધાનની નેમને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં સુશાસનના સાત સપ્તર્ષિ સંકલ્પોથી અગ્રેસર રહેવા રાજ્યવાસીઓને આહવાન કર્યું છે.

સરદાર સાહેબની જન્મ ભૂમિ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં મુખ્યમંત્રીએ 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય ઉજવણીમાં ત્રિરંગો લહેરાવી ધ્વજ વંદના કરાવતાં સુગમતા, સરળતા, સંપર્ક, સમર્પણ, સહભાગિતા, સશક્તિકરણ અને સુરક્ષા એમ સુશાસનના સાત સપ્તર્ષિ સંકલ્પોની વિભાવના સ્પષ્ટ કરી હતી

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જેમ આઝાદીના જંગમાં ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના નેતૃત્વમાં પથદર્શક બન્યું હતું, તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં આ સુશાસન સપ્તર્ષિથી ગુજરાત પથદર્શક બનશે.

મુખ્યમંત્રીએ આ રાષ્ટ્રીય પર્વે પ્રજાજનોને આપેલા પ્રેરક સંદેશમાં સુશાસન સંબંધિત બે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સંગીન બનાવવા માર્ગોના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણ માટે રૂ।.5017 કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી.

એટલું જ નહી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાજ્યના વધુ લોકોને આવરી લેવાના હેતુંથી જરૂરતમંદ એન.એફ.એસ.એ. પરિવારોની માસિક આવકની મર્યાદા રૂ।.15 હજારથી વધારીને રૂ।.20 હજાર કરવાની પણ તેમણે ઘોષણા કરી હતી.

મુખ્યમંત્રીએ સુશાસનના જે સાત સપ્તર્ષિ સંકલ્પોના પાયા ઉપર ગુજરાતને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપનારૂ રાજ્ય બનાવવું છે, તે પરિપ્રેક્ષ્યમાં ઉમેર્યું કે, સુગમતા-સરળતાના સંકલ્પથી લોકહિત યોજનાઓનો લાભ મેળવવામાં કોઇને અગવડ ના પડે તેવી “ફ્રિક્સન લેસ” ગવર્નન્સ વ્યવસ્થા વધુ સંગીન બનાવવી છે.

સુશાસનના ત્રીજા સંકલ્પ સંપર્ક અંતર્ગત આધુનિક સંપર્કના માધ્યમોથી લોકો પોતાની રજૂઆતો સરકાર સુધી ઝડપભેર અને સરળતાથી પહોંચાડી શકે અને સરકાર પણ સામે ચાલીને તેનું સમાધાન લાવે તેવા પ્રયત્ન કરાશે.

આ માટે ડિઝીટલ ગુજરાત, સ્વાગત ઓનલાઇન, સીએમ ડેશબોર્ડ, વોટ્સએપ બોટ, રાઇટ ટુ સીએમ સહિતના પ્રજા અને પ્રશાસન વચ્ચેના સંપર્ક માધ્યમોને વધુ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ કરાશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, અમે નાગરિકોની સેવામાં સમર્પિત છીએ. નેશન ફર્સ્ટના ભાવથી કામ કરી દરેક ગુજરાતીમાં દેશ પ્રત્યેનો ભાવ બળવત્તર બને તેવો સરકારનો ધ્યેય છે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાત રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે. કચ્છમાં વિશ્વના સૌથી મોટા 37 ગીગાવોટના સોલાર-વિન્ડ હાઈબ્રીડ એનર્જી પાર્કનું નિર્માણ ઝડપથી પૂર્ણ કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે.પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના અંતર્ગત રહેણાંક મકાનોમાં સોલાર રૂફટોપ સિસ્ટમના અમલીકરણમાં દેશભરમાં ગુજરાત અગ્રેસર છે.

“લિવિંગ વેલ” વિભાવના સ્પષ્ટ કરતા કહ્યું કે, નાગરિકોનું જીવન ધોરણ ઉંચુ આવે અને ઇઝ ઓફ લિવિંગ વધે તે માટે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ એમ સમાજના ચાર સ્તંભોને કેન્દ્ર બિંદુમાં રાખવામાં આવ્યા છે. પીએમ આવાસ યોજના હેઠળ 5.56 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરીને ગરીબોને આપવામાં આવ્યા છે.

વડાપ્રધાનના માર્ગદર્શનમાં વિકસિત ભારત  2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં ટીમ ગુજરાતના અવિરત પુરુષાર્થ અને જનજનના સહયોગથી સુશાસનના સપ્તર્ષિ સંકલ્પો સાથેનું વિકસિત ગુજરાત બનાવવાના દ્રઢ નિર્ધારનો તેમણે પુનરોચ્ચાર કર્યો હતો.

મુખ્ય સચિવ રાજ કુમાર અને પોલીસ મહાનિદેશક વિકાસ સહાય મુખ્યમંત્રીને પોડિયમ તરફ દોરી ગયા હતા. વાયુસેનાના હેલીકોપ્ટરે રાષ્ટ્રધ્વજ ઉપર આકાશમાંથી પુષ્યવૃષ્ટિ કરી હતી. મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ વડાપ્રધાનએ એક પેડ મા કે નામના આપેલા કોલને ચરિતાર્થ કરવા ખેડા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મયોગીઓ દ્વારા નિર્મિત ચાર હજાર વૃક્ષોના કર્મયોગી વનનું લોકાર્પણ કર્યું હતું.

આ ધ્વજ વંદન સમારોહમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્યો સર્વ પંકજભાઈ દેસાઈ, રાજેશ ઝાલા, અર્જુનસિંહ ચૌહાણ, યોગેન્દ્રસિંહ પરમાર, કલ્પેશભાઈ પરમાર, સંજયસિંહ મહિડા, અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, પ્રભારી સચિવ આર.સી.મીના, વરિષ્ઠ અધિકારીઓ, કલેક્ટર  અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી. વસાવા,પદાધિકારીઓ, અગ્રણીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE