મોઢું સંભાળીને બોલો’, પાકિસ્તાની મંત્રીએ ઝેર ઓક્યું તો ઇઝરાયલે બરાબરનો ક્લાસ લીધો!

ઈરાન અને અમેરિકા વચ્ચે કામચલાઉ યુદ્ધવિરામ કરાવવાને લઈને હાલ પાકિસ્તાનની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન, ઇઝરાયલે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફની વાંધાજનક ટિપ્પણીની સખત નિંદા કરી છે અને અમેરિકા-ઈરાન વચ્ચે “નિષ્પક્ષ મધ્યસ્થી” તરીકે પાકિસ્તાનની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી છે.

ઇઝરાયલી વડાપ્રધાન કાર્યાલયે સોશિયલ મીડિયા સાઇટ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું કે, “પાકિસ્તાનના રક્ષા મંત્રી દ્વારા ઇઝરાયલ વિરુદ્ધ વિનાશનું આહવાન કરવું અત્યંત વાંધાજનક છે.”

વડાપ્રધાન કાર્યાલયે ગુરુવારે સાંજે કહ્યું કે, “આ એવું નિવેદન નથી જેને કોઈ પણ રીતે સહન કરી શકાય, ખાસ કરીને એ સરકાર પાસેથી જે શાંતિ માટે નિષ્પક્ષ મધ્યસ્થી હોવાનો દાવો કરે છે.”

ખ્વાજા આસિફે ઇઝરાયલ પર લગાવ્યા ગંભીર આરોપ

પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના કામચલાઉ યુદ્ધવિરામમાં મધ્યસ્થતા કરી રહ્યું છે અને તેની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાન 11 એપ્રિલ એટલે કે શનિવારે શાંતિ વાર્તાની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ઇઝરાયલને ‘ખરાબ’ અને ‘માનવતા માટે અભિશાપ’ ગણાવતા યુરોપિયન યહૂદીઓથી છુટકારો મેળવવાનું આહવાન કર્યું હતું.

આસિફે એવો પણ દાવો કર્યો હતો કે, ઇસ્લામાબાદમાં શાંતિ વાર્તા ચાલી રહી છે, ત્યારે બીજી તરફ લેબનાનમાં નરસંહાર થઈ રહ્યો છે. આસિફે કહ્યું:

“નિર્દોષ નાગરિકોને ઇઝરાયલ દ્વારા મારવામાં આવી રહ્યા છે, પહેલા ગાઝામાં, પછી ઈરાનમાં અને હવે લેબનાનમાં, રક્તપાત સતત ચાલુ છે. હું આશા અને પ્રાર્થના કરું છું કે જે લોકોએ યુરોપિયન યહૂદીઓથી છુટકારો મેળવવા માટે પેલેસ્ટિનિયન ભૂમિ પર આ કેન્સર જેવા રાજ્યની સ્થાપના કરી, તેઓ નરકમાં બળે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE