રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન આઈપીએસ (IPS) મનોજ નિનામા વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં IGP તરીકે ફરજ બજાવતા મનોજ નિનામાએ અચાનક પોલીસ સેવામાંથી રાજીનામું આપી દીધું છે. મંગળવારે મોડી સાંજે તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું હોવાની પુષ્ટિ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કરી છે.
પી.સી. બરંડાની જેમ રાજકારણમાં એન્ટ્રી!
રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, મનોજ નિનામા પૂર્વ IPS અને હાલના રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડાના માર્ગે ચાલી રહ્યા છે. તેઓ પોતાના વતન અરવલ્લીના ભિલોડાથી રાજકારણમાં સક્રિય થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. માનવામાં આવે છે કે, તેઓ ભાજપની ટિકિટ પર જિલ્લા પંચાયતની ચૂંટણી લડી શકે છે.
વહીવટી અનુભવનો રાજનીતિમાં ઉપયોગ
IPS મનોજ નિનામાનું રાજીનામું અને રાજકારણમાં પ્રવેશ એ સ્પષ્ટ સંકેત આપે છે કે ભાજપ હવે સ્થાનિક સ્તરે પણ વહીવટી અનુભવ ધરાવતા ચહેરાઓને મેદાનમાં ઉતારવા માંગે છે. ભિલોડા બેઠક પર તેમનો પ્રભાવ પક્ષને મજબૂતી અપાવી શકે છે. અધિકારીક સ્તરેથી રાજકીય સ્તર સુધીની તેમની આ સફર આગામી દિવસોમાં ચૂંટણીમાં મોટો વળાંક લાવી શકે તેમ છે.
Post Views: 83











