જો તમે ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે પાયલટ અને કેબિન ક્રૂ મેમ્બર્સ તમારી સાથે જે પ્રેમ અને આદર સાથે વર્તે છે તે જ આદર તમારે દર્શાવવો પડશે. જો તમે તેમની સાથે કોઈપણ રીતે ગેરવર્તણૂક કરતા જોવા મળ્યા તો તમને ભારે નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં ફ્લાઇટમાં જો એરહોસ્ટેસ સાથે આવું કર્યું તો 30 લાખ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે.
આ અવારનવાર બનતી ઘટનાઓને કારણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ કેટલાક નિયમો બનાવ્યા છે. જેની સીધી અસર મુસાફરો પર પડશે. જે પણ વ્યક્તિએ આ નિયમ ભંગ કર્યો તેની સામે કડક પગલા ભરાશે અને 30 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારાઈ શકે છે.
ભારતમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ તમામ એરલાઇન ફ્લાઇટમાં ખરાબ વ્યવહાર કરતા મુસાફરોને કેવી રીતે ટ્રિટ કરવા એના માટેની એક એડવાઇઝરી જારી કરી છે. તેમણે કહ્યું કે મુસાફરોની તરફથી ગેરવર્તણૂકના ઘણા કિસ્સાઓ દરરોજ સામે આવતા રહે છે. આવી સ્થિતિમાં પાયલોટ અને કેબિન ક્રૂ મેમ્બર્સની સુરક્ષા સાથે ચેડા કરી શકાય નહીં.
ડીજીસીએએ એરલાઈન્સને સલાહ આપી છે કે તેઓ તેમના પાઈલટ, કેબિન ક્રૂ સભ્યોને આવી પરિસ્થિતિઓનો યોગ્ય રીતે સામનો કરવા માટે વધારે ટ્રેનિંગ આપે. ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયામાં એક મુસાફરે ગેરવર્તનની તમામ હદો વટાવી દીધી હતી. જેના કારણે ફ્લાઈટને દિલ્હી પરત ફરવાની ફરજ પડી હતી.
પેસેન્જરના લીધે કેબિન સ્ટાફના બે સભ્યોને પણ કથિત રીતે શારીરિક ઈજાઓ પહોંચી હતી. જ્યારે ડીજીસીએને આ સમાચારની જાણ થઈ, ત્યારે તેઓએ કેબિન ક્રૂ મેમ્બર અને પાયલટોની સુરક્ષા માટે જરૂરી નિયમો બનાવ્યા હતા.