ક્રાઇમ ધોરાજીના જમનાવડની જમીન પચાવી પાડવા સગા ભાઈએ બોગસ કુલમુખત્યાર બનાવ્યું

ધોરાજીના જમનાવડ ગામે પિતાની વારસાઈ જમીન પચાવી પાડવા માટે સગાભાઈએ ખોટુ કુલમુખત્યાર બનાવી તેમાં પોતાના બહેનની નકલી સહી કરી નામ કમી કરાવી નાખતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ મોટી પાનેલી ગામે રહેતા મંજુલાબેન હરસુખભાઈ મુંજપરા ઉ.વ.61 એ નોંધાવેલી ફરિયાદમાં તેના સગાભાઈ ભીખાભાઈ નરસીભાઈ ઠેસિયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મંજુલાબેનના પિતા નરસીભાઈ ધરમસીભાઈ ઠેસિયાનું વર્ષ 2015ની સાલમાં અવસાન થયું હોય તેમના નામની ધોરાજીના જમનાવડ ગામની સીમમાં 15 વિઘા જમીન હોય જે જમીન મોટાભાઈ ભીખાભાઈ નરસીભાઈ ઠેસિયા વાવતા હોય મંજુલાબેને આ જમીનમાં ભાગ માંગતા ભાઈએ કોઈ હક હિસ્સો આપ્યો ન હતો. તે દરમિયાન તપાસ કરતા જાણવા મળ્યું કે, તેમના ભાઈએ મંજુલા બેનના નામની ખોટી સહી કરી ખોટુ કુલમુખત્યાર બનાવી પોતાનું નામ કમી કરી નાખ્યું છે. તેમજ સેવા સહકારી મંડળીમાં આ રજુ કરી 2.66 લાખનું ધીરાણ પણ મેળવી લીધું હતું. આ બાબતે મંજુલાબેને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ મંજુલાબેન ચારભાઈ અને એક બહેનમાં સૌથી મોટા છે. તેમના નાના બહેન રસીલાબેન હાલ સુરત રહે છે. અને બીજા નાના બહેન જામ કંડોરણા તથા ત્રીજા બહેન ગીતાબેન ધોરાજી રહે છે. અને સૌથી નાનાભાઈ ભીખાભાઈ ધોરાજી રહેતા હોય જે આ જમીન વાવતા હોય તેમણે મંજુલાબેનનો ખોટુ કુલમુખત્યાર બનાવ્યું ત્યારે તેમના જૂના ફોટાનો ઉપયોગ કરી તેમનો હક્ક છીનવી લઈ પિતાની જમીનમાંથી હકહિસ્સો રદ કરાવી નાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE