બનાસકાંઠા જિલ્લાના ટ્રાઇબલ વિસ્તાર એવા દાંતા તાલુકાના અડેરણ-તરસંગ ગામના લોકો વર્ષોથી પાકા રસ્તાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. સ્થાનિક સ્તરે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં આખરે રોષે ભરાયેલા ગ્રામજનો પાલનપુર સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને કચેરીના પ્રાંગણમાં જ અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ તેમજ ધરણાંનો પ્રારંભ કર્યો છે.
પાકા રસ્તાના અભાવે ચોમાસા અને ઇમરજન્સીમાં ભારે હાલાકી
-
એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી: ગામમાં પાકો રસ્તો ન હોવાના કારણે અચાનક બીમારી કે ઈમરજન્સીના સમયે ‘108’ એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી, જેના કારણે દર્દીઓના જીવનું જોખમ ઊભું થાય છે.
-
વિદ્યાર્થીઓને મુશ્કેલી: શાળાએ જતાં નાના-મોટા બાળકોને દરરોજ ધૂળિયા અને ખરાબ રસ્તેથી પસાર થવું પડે છે, જેનાથી અભ્યાસ પર વિપરીત અસર પડી રહી છે.
સ્થાનિક તંત્રથી કલેક્ટર સુધી રજૂઆતો છતાં પરિણામ શૂન્ય
ગ્રામજનોના જણાવ્યા મુજબ, તેમણે રસ્તાની મંજૂરી અને નિર્માણ માટે ગ્રામ પંચાયતથી લઈને તાલુકા મામલતદાર કચેરી સુધી અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી. આખરે કંટાળીને ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરના શરણે જઈ ન્યાયની માંગ કરી છે.
માંગ ન સંતોષાય ત્યાં સુધી ધરણાં ચાલુ રાખવાની ચીમકી
કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ભૂખ હડતાળ પર બેઠેલા ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી પાકા રસ્તાની માંગણી સ્વીકારવામાં નહીં આવે અને કામગીરી શરૂ નહીં થાય ત્યાં સુધી તેઓ કલેક્ટર કચેરીના પ્રાંગણમાંથી ખસશે નહીં અને ઉપવાસ આંદોલન યથાવત રાખશે. હવે જોવું એ રહેશે કે જિલ્લા તંત્ર ગ્રામજનોની આ વ્યાજબી માંગણી સામે શું પગલાં લે છે.










